બોલીવૂડની બે અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં નેશનલ જિયોગ્રાફિકે 2026 માટેના 33 ગ્લોબલ ચેન્જર્સની યાદી જાહેર કરી છે અને તેમાં આ બંને અભિનેત્રીઓનો ભારતમાંથી વૈશ્વિક સ્તરે અસર કરનાર પ્રભાવશાળી અવાજ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
નેશનલ જિયોગ્રાફિકના નિવેદન મુજબ, આ યાદીમાં એવા 33 પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમણે આજના સમયના સૌથી મહત્વના પડકારોનો સામનો કરવા સક્રિય ભૂમિકા ભજવી હોય, નોંધપાત્ર પ્રગતિ કરી હોય અને મહત્વપૂર્ણ સફળતા મેળવી રહ્યાં હોય.
આલિયા ભટ્ટને તેનાં પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ક્લાઈમેટ અંગેની જાગૃતિને મુખ્ય પ્રવાહમાં લાવવા, પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને પર્યાવરણીય મુદ્દાઓ સાથે જોડવા માટે યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની પ્રોડક્શન કંપની ‘ઇટર્નલ સનશાઇન’એ હાથીઓના શિકાર અંગેની તપાસ પર આધારિત મિનિ-સીરીઝને પ્રોડ્યુસ કરવામાં મદદ કરી છે અને એક ભારતીય ઈકો-ફિલ્મ ફેસ્ટિવલ સાથે ભાગીદારી દ્વારા પર્યાવરણ આધારિત ફિલ્મમેકિંગને સમર્થન આપતી રહે છે.
તેનાં બાળકો માટેનાં પુસ્તક ‘એડ ફાઈન્ડ્સ અ હોમ’ બાળકોને પ્રાણીઓનાં દત્તક લેવાનાં મહત્વ વિશે સમજાવે છે. ‘મી વોર્ડરોબ ઇઝ સુ વોર્ડરોબ’ નામની તેની ફેશન રિસેલ પહેલ પર્યાવરણમિત્ર ચેરિટીઝ માટે ફંડ એકત્ર કરે છે અને વેસ્ટ ઘટાડે છે. ‘કોએક્ઝિસ્ટ’ નામનું તેમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પ્રાણી અધિકાર માટે કાર્યરત સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે.
જ્યારે પ્રિયંકા ચોપરાને વધુ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચે અને ડાયાબિટીસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેના તેનાં સતત પ્રયાસો બદલ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રિયંકાએ તેનાં પતિ નિક જોનાસને મળ્યા પછી ટાઇપ 1 ડાયાબિટીસ વિશે સમજ્યું, જેને 13 વર્ષની ઉંમરે આ રોગનું નિદાન થયું હતું. ‘આ રોગ સાથે જીવી શકાય છે અને સફળ પણ થઈ શકાય છે’ એમ પ્રિયંકા કહે છે. તે છેલ્લા પાંચ વર્ષથી ‘બિયૉન્ડ ટાઇપ 1’ નામની નોન-પ્રોફિટ સંસ્થા સાથે જોડાઈને ભારતમાં જાગૃતિ ફેલાવી રહી છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં, તે એક મહત્વપૂર્ણ પરિવર્તનકારી શક્તિ બની છે.













