કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટીમ આજરોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવી પહોંચી છે. શુક્રવારે કેન્દ્રની ટીમે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સત્તાધીશો દ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટેના પગલાંની સમીક્ષા કરી હતી.

અધિકારીઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્રની ટીમ એક દિવસની ગુજરાત મુલાકાતે આવી છે અને આ ટીમ વિવિધ કન્ટેન્મેન્ટ ઝોન તેમજ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે.

કેન્દ્રના સંયુક્ત આરોગ્ય સચિવ લવ અગ્રવાલના નેતૃત્વ હેઠલની કેન્દ્રની ટીમે સૌપ્રથમ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા વસંતનગરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. આ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા લીધેલા પગલાં તેમજ અન્ય માહિતી મેળવી હતી. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી ધનવંતરી આરોગ્ય રથના કાર્યપદ્ધિતિની સમજણ પણ મેળવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મોબાઈલ વાન ક્લિનિકની સેવાનો ચાલુ મહિને પ્રારંભ કર્યો હતો અને તેના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને આરોગ્ય ચકાસણી કરી તેમજ દવાનું મફત વિતરણ કરવામાં આવે છે.
ત્યારબાદ શહેરના માનસી સર્કલ સ્થિત એક હાઉસિંગ સોસાયટી, શાહપુર તેમજ શાહીબાગ વિસ્તારમાં આવેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમ સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના છે.

કેન્દ્રની ટીમ 26થી 29 જૂન સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની મુલાકાત લઈને રાજ્યમાં ચાલી રહેલી કોરોનાની સારવાર અને તંત્ર દ્વારા લેવાતા પગલાંની સમીક્ષા કરશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 29,500 કેસ તેમજ 1,750 લોકોના મોત થયા છે. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 5.93 ટકા છે જે દેશમાં સૌથી ઊંચો છે. અમદાવાદમાં કુલ 19,839 કેસ નોંધાયા છે તેમજ 1,390 લોકોના મૃત્યુ થયા છે જેને પગલે મૃત્યુદર સાત ટકા જેટલ ઊંચો છે.