(Photo by Arun SANKAR / AFP) (Photo by ARUN SANKAR/AFP via Getty Images)

ચેક બંધારણીય અદાલતે પન્નુન કેસમાં યુએસમાં પ્રત્યાર્પણ સામેની ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની અરજી ફગાવી દીધી છે. નિખિલ ગુપ્તા સામે અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરામાં સામેલ હોવાનો આરોપ છે. ગુપ્તાની 30 જૂન, 2023ના રોજ ચેક રિપબ્લિકના પ્રાગમાં ધરપકડ કરાઈ હતી અને હાલમાં તે પ્રાગની જેલમાં છે. અમેરિકી સરકાર તેના અમેરિકામાં પ્રત્યાર્પણની માંગ કરી રહી છે.

52 વર્ષીય ગુપ્તા સામે યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં પન્નુનની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ચેકની બંધારણીય અદાલતે પ્રત્યાર્પણ વિરુદ્ધ ગુપ્તાની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે નીચલી અદાલતોએ પ્રત્યાર્પણને અટકાવી શકે તેવા પાસાઓ પર યોગ્ય વિચારણા કરી છે. કોર્ટે આ કેસ રાજકીય હોવાની દલીલોને પણ નકારી કાઢી હતી. આની સાથે ફરિયાદી માટે આ ચેક કોર્ટ સમક્ષની કાર્યવાહીનો અંત લાવે છે.

બંધારણીય અદાલત સમક્ષ અરજદારે જણાવ્યું હતું કે અદાલતોએ એવા તમામ આવશ્યક સંજોગોની તપાસ કરી નથી, જે પ્રત્યાર્પણમાં અવરોધ બની શકે. જાન્યુઆરીમાં ચેક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ગુપ્તાને યુએસનું પ્રત્યાર્પણ કરી શકાય છે.

ગુપ્તાનું પ્રત્યાર્પણ કરવું કે નહીં તેનો અંતિમ નિર્ણય ન્યાય પ્રધાન પાવેલ બ્લેઝક કરશે.

એપ્રિલ 2024માં વોશિંગ્ટન પોસ્ટે અહેવાલ આપ્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW)ના અધિકારી વિક્રમ યાદવ આ કાવતરા પાછળના ભારતીય અધિકારી હતા. તત્કાલીન R&AW ચીફ સામંત ગોયલે ઓપરેશનને મંજૂરી આપી હતી. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો હતો.

 

LEAVE A REPLY