(PTI Photo)

બિહારના નાલંદા જિલ્લામાં મંગળવારે શીતળા માતા મંદિરમાં થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયાં હતાં. શીતળા માતા મંદિરમાં ભક્તોની ભારે ભીડને કારણે આ દુર્ઘટના બની હતી.
બિહાર શરીફના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ નૂરુલ હકેએ જણાવ્યું કે મંગળવારે સવારે શીતળા માતા મંદિર ખાતે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા આઠ ભક્તોના મોત હતા, જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થતો હતો.

પોલીસ અને જિલ્લા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતી અને બચાવ કામગીરી ચાલુ કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટનામાં ભક્તોના મોત અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોનેરૂ.6 લાખની સહાયની જાહેરાત કરી હતી. નાલંદાના ડેપ્યુટી ડેવલપમેન્ટ કમિશનર (DDC) શુભમ કુમારે મીડિયાને જણાવ્યું કે આ ઘટના મંદિર ખાતે ભારે ભીડને કારણે થઈ હોવાની શક્યતા છે.

ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટીતંત્રનો બંદોબસ્ત નહિવત હોવાનું જાણવા મળ્યું છે. દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી.