ગુજરાતમાં લોકડાઉન ત્રણનાં અંત અને વધુ છુટછાટો સાથેના લોકડાઉન 4 ના પ્રારંભ છતાં રાજય કોરોનાની દ્રષ્ટિએ વધુને વધુ જોખમી બનતુ જાય છે. તેવા સંકેતમાં ગઈકાલે સાંજે પુરા થતા છેલ્લા 24 કલાકમાં રાજયમાં 366 નવા કેસ પોઝીટીવ અને 35 મૃત્યુ નોંધાયા છે. આમ રાજયમાં કોરોના પોઝીટીવ સતત છેલ્લા 10થી વધુ દિવસથી 300+ નો આંકલ બતાવી રહી છે અને ગઈકાલે 305 લોકોને ડીસ્ચાર્જ કરાયા હતા અમદાવાદમાં સૌથી વધુ 263 કેસ નોંધાયા છે. સુરતમાં 33 વડોદરામાં 22 અને ગાંધીનગરમાં 12 કેસ નોંધાયા છે.

રાજયમાં આ સાથે કોરોના પોઝીટીવના કુલ 11783 કેસ અને 694 મોત થયા છે. સૌથી વધુ 31 મૃત્યુ અમદાવાદમાં છે. ઉંચો મૃત્યુ આંક પણ તબીબી ક્ષેત્રમાં મોટી ચિંતા છે. દેશમાં કોરોના પોઝીટીવના મૃત્યુ આંક અમદાવાદમાં 6.55 ટકા છે જયારે મુંબઈમાં તે 3.34 ટકા છે. રવિવારનાં આંકડા મુજબ મહારાષ્ટ્રનાં પાટનગરમાં કુલ 734 મૃત્યુ નોંધાયા હતા અને અમદાવાદમાં 534 મૃત્યુ થયા છે. આમ ગુજરાતના આ પાટનગર જેવા મહાનગરમાં કોરોનાના મૃત્યુની ટકાવારી લગભગ ડબલ થઈ છે.

ગુજરાતમાં મૃત્યુઆંકમાં અમદાવાદમાં તબીબો કોઈ કલુ મેળવવા માટે પ્રયાસ કરે છે. મે માસમાં 17 દિવસમાં અમદાવાદમાં 374 મૃત્યુ નોંધાયા જે એપ્રિલ 30 સુધીમાં નોંધાયેલા કુલ મૃત્યુ કરતાં લગભગ અઢી ગણા છે. અમદાવાદમાં રોજ સરેરાશ 22 મૃત્યુ એટલે કે દર 65 મીનીટે એક વ્યકિતનું મૃત્યુ થાય છે. રવિવારનાં આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુનાં 61.34 મુંબઈમાં થયા છે. અમદાવાદમાં ગુજરાતનાં કુલ મૃત્યુનાં 79.5 ટકા મૃત્યુ નોંધાયા છે. તો છેલ્લા 17 દિવસમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે અને મુંબઈમાં રાજયનાં 60 ટકા તો અમદાવાદમાં ગુજરાતનાં 84 ટકા મૃત્યુ નોંધાયા છે.

વાસ્તવમાં ગુજરાત અને તામિલનાડુમાં કોરોના પોઝીટીવ કેસ લગભગ સરભર છે. પણ ગુજરાતમાં 649 મોત સામે તામીલનાડુમાં 79 મૃત્યુ થયા છે.અમદાવાદનાં ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.તુષાર પટેલ કહે છે કે મૃત્યુના કારણો તપાસીને નવા દર્દી દાખલ થાય તે એ કારણ બાજુ જાય નહિં. તેની ચિંતા કરવાની જરૂર છે. કેટલાંક દર્દીઓની સ્થિતિ બહૂ ઝડપથી વણસે છે.