ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને આપવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પ્રાયર રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.
પરંતુ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે.
કોરોનાથી બચવાના અક્સીર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.
ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે. આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે.