ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદનમાં ગયા સપ્તાહે શનિવારે પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના માળખાની જાહેરાત કરી હતી. આ વચગાળાના કરાર મુજબ બંને દેશો એકબીજાની પ્રોડક્ટ્સની પરની ટેરિફમાં ઘટાડો કરશે, ઊર્જા સંબંધો ફરી સાકાર કરશે અને આર્થિક સહયોગ વધુ ગાઢ બનાવશે.
આ ડીલ હેઠળ અમેરિકાની મોંઘી કાર, બાઇક, સફરજન જેવા તાજા અને પ્રોસેસ્ડ ફળો, સોયાતેલ, વાઇન એન્ડ સ્પિરિટસ, ડ્રાઇડ ડિસ્ટીલર્સ ગ્રેઇન, લાલ જુવાર, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, જેવા ડ્રાય ફ્રુટ, સોયાતેલ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ, અમેરિકન વિમાન, સેમિકન્ડક્ટર ચીપ્સ, હાઇ ક્વોલિટી મશીનરી પરની ડ્યૂટીમાં ભારત ઘટાડો કરશે. બીજી તરફ ભારતની જેનેરિક ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ ડાયમંડ, એરફ્રાક્ટ પાર્ટ, મસાલા, ચા, કોફી, કોપરા, નાળિયેર તેલ, સોપારી, કાજુ, એવોકાડો, કેળા, જામફળ, કેરી, કીવી, પપૈયા, અનેનાસ, કોકો અને કોકો પ્રોડ્કસ, તલ, ખસખસ અને ફ્રુટ જામ સહિતની પેદાશોને અમેરિકામાં ઝીરો ટેરિફ (જકાત મુક્તિ) નો લાભ મળશે.
ભારત વચગાળાના વેપાર કરાર હેઠળ હાઇ-એન્ડ અમેરિકન કાર પરની ટેરિફ 110%થી ઘટાડીને 30% કરશે અને હાર્લી-ડેવિડસન બાઇક પરની ડ્યુટી નાબૂદ કરશે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો માટે છૂટછાટ આપશે નહીં.
ભારતના વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ વચગાળાના કરારથી ભારતીય નિકાસકારો અને ખાસ કરી MSME, ખેડૂતો અને માછીમારો માટે 30 ટ્રિલિયન ડોલર (યુએસની કુલ જીડીપી)નું બજાર ખુલશે, કારણ કે ભારતીય માલ પર યુએસ ડ્યૂટી અગાઉની 50 ટકાથી ઘટી 18 ટકા થશે. ભારત અમેરિકાના તમામ ઔદ્યોગિક પ્રોડક્ટ્સ અને સંખ્યાબંધ ફૂડ અને કૃષિ પેદાશોની ટેરિફ નાબૂદ કરશે અથવા તેમાં ઘટાડો કરશે.
બંને દેશોના સંયુક્ત નિવેદન પહેલા અમેરિકન પ્રેસિડન્ટ ડોનાન્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ આદેશ જારી કરી રશિયન ક્રૂડની ખરીદી બદલ ભારત પર લાદવામાં આવેલી 25 ટકા ટેરિફ 7 ફેબ્રુઆરીથી નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.
પ્રથમ તબક્કાના આ કરાર પર માર્ચના મધ્યમાં હસ્તાક્ષર થવાની ધારણા છે. ભારત રશિયા પાસેથી સીધી કે પરોક્ષ રીતે ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની પ્રતિબદ્ધતા આપી હોવાથી ટ્રમ્પે ભારત પરની 25 ટકા વધારાની ટેરિફને નાબૂદ કરી છે. નિવેદનમાં જણાવાયું છે કે ભારતે આગામી પાંચ વર્ષમાં 500 અબજ ડોલરના યુએસ એનર્જી પ્રોડક્ટ્સ, વિમાન અને વિમાનના પાર્ટસ, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને કોલસો ખરીદવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.
સમજૂતી અમલમાં આવ્યાના દિવસથી ભારત અમેરિકાની કેટલીક પ્રોડક્ટ્સ પર ડ્યૂટીને નાબૂદ કરશે. બીજા પ્રોડક્ટ્સ પરની ડ્યૂટી તબક્કાવાર ધોરણે નાબૂદ કરશે. કેટલાંક ક્ષેત્રમાં ટેરિફમાં ઘટાડો કરશે અને કેટલાંક ક્ષેત્રમાં ક્વોટા મુજબ રાહત આપશે. બંને દેશો આ માળખાને ઝડપથી અમલી બનાવશે તથા વચગાળાની સમજૂતીને આખરી ઓપ આપી અંતિમ સમજૂતી કરશે.
ભારત યુએસ મેડિકલ ડિવાઇસ તથા ફૂડ અને કૃષિ પેદાશો પરના ટેરિફ સિવાયના અવરોધોને દૂર કરવા માટે પણ સંમત થયું છે. બંને દેશો ડેટા સેન્ટરોમાં વપરાતા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ અને બીજી પ્રોડક્ટ્સ સહિતની ટેકનોલોજી પ્રોડક્ટ્સના વેપારમાં મોટો વધારો કરવા તથા ટેકનોલોજી સહયોગમાં વધારો કરવા માટે પણ સંમત થયા છે.
ગોયલે જણાવ્યું હતું કે આ કરાર હેઠળ ભારતની આશરે 44 અબજ ડોલરની નિકાસ શૂન્ય પારસ્પરિક ટેરિફ પર અમેરિકન બજારમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત 30 અબજ ડોલરની નિકાસ પર 18 ટકા ડ્યૂટી લાગુ પડશે. જોકે સ્ટીલ, કોપર અને કેટલાંક ઓટો પાર્ટસ સહિતની 12 અબજ ડોલરની નિકાસ પરની ડ્યૂટીમાં કોઇ ફેરફાર કરાયા નથી.
ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રમાં મર્યાદિત છૂટછાટ આપી
વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વચગાળાના વેપાર કરાર હેઠળ ભારતે મકાઈ, ઘઉં, ચોખા, સોયા, મરઘાં, દૂધ, ચીઝ, ઇથેનોલ (ઇંધણ), તમાકુ, અમુક શાકભાજી અને માંસ જેવી સંવેદનશીલ કૃષિ અને ડેરી પેદાશોને સંપૂર્ણપણે સુરક્ષિત રાખ્યા છે અને આ માલ પર અમેરિકાને કોઈ જકાત મુક્તિ અપાશે નહીં. આ પ્રોડક્ટ્સ સંવેદનશીલ છે, કારણ કે તે દેશના નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા સાથે સંકળાયેલા છે. તમામ વેપાર વાટાઘાટોમાં ખેડૂતોના હિત સર્વોપરી રહે છે અને મોદી-સરકાર ખેડૂતોના રક્ષણ અને ગ્રામીણ આજીવિકા સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બીજી દેશો સાથેના એફટીએમાં પણ ભારતે કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સને કોઇ ડ્યૂટી રાહત આપી નથી.













