ભારત સરકારે ઇન્ડિયન એરફોર્સ માટે છ ‘આઇ ઇન ધ સ્કાય’ વિમાન માટે રૂ. 11 હજાર કરોડના સુરક્ષા સોદાને મંજૂરી આપી છે. આ હેઠળ છ નવા એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ વિમાન તૈયાર કરાશે. ભારતીય વાયુસેના તેના કાફલામાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ આ સિસ્ટમને સમાવવા માટે તૈયાર છે. તાજેતરમાં સુરક્ષા કેબિનેટ સમિતિ દ્વારા આ સોદાને મંજૂરી આપવામાં આવી હતી. તેને આકાશમાં ભારતની આંખ તરીકે જોવામાં આવી રહ્યા છે. DRDO દ્વારા બનાવવામાં આવી રહેલા આ રડારને એર ઇન્ડિયાના A-321માં ફીટ કરવામાં આવશે.
DRDO દ્વારા બનાવવામાં આવી રહેલાં આ રડાર હાલના AESA રડારનું આધુનિક રૂપ હશે, જે IAF દ્વારા પહેલેથી જ તૈનાત બે નેત્રા એરબોર્ન ચેતવણી વિમાનોમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના રશિયા પાસેથી ખરીદેલા 3 મોટા A-50 EI વિમાનોનું પણ સંચાલન કરે છે, જે ઇઝરાયેલી EL/W-2090 ‘ફાલ્કન’ રડાર સિસ્ટમથી સજ્જ છે.
A-321 વિમાનમાં લગાવવા માટે જે આધુનિક રડાર ભારતીય વાયુસેનાને આપવામાં આવશે, તે વિમાનની ચારેય બાજુ સેંકડો કિલોમીટરના એરસ્પેસમાં 360 ડિગ્રી કવરેજ સુનિશ્ચિત કરશે. આ રડાર IAFના હાલના નેત્રા જેટની ક્ષમતા કરતાં વધુ શક્તિશાળી હશે.
એરબોર્ન વોર્નિંગ એરક્રાફ્ટે ત્યારે વધુ ધ્યાન ખેંચ્યું જ્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર એરસ્પેસમાં સંઘર્ષ વધ્યો હતો. પાકિસ્તાન તરફથી હુમલાને રોકવા માટે ભારતીય વાયુસેનાના ફાઇટર્સ મોટાભાગે IAF નેત્રા અને A-50 જેટ પર નિર્ભર છે, જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. વિંગ કમાન્ડર વર્ધમાને પાકિસ્તાની વાયુસેનાના વિમાન F-16ને તોડી પાડ્યું હતું, જેને આ રડાર દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું.