ઈરાને ભારત સહિત કેટલાંક મિત્ર દેશોના વેપારી જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી છે, એમ ઇરાનના વિદેશ પ્રધાન સઇદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું.
ઈરાનના સરકારી ટેલિવિઝનના જણાવ્યા અનુસાર અરાઘચીએ જણાવ્યું હતું કે “અમે કેટલાંક દેશોને, જેમને અમે મિત્ર ગણીએ છીએ, તેમને જહાજ પસાર થવાની મંજૂરી આપી છે. અમે ચીન, રશિયા, ભારત, ઈરાક અને પાકિસ્તાનને ટ્રાન્ઝિટની પરવાનગી આપી છે.”
આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનના વિરોધી દેશો સાથે સંકળાયેલા જહાજોને આ વ્યૂહાત્મક માર્ગમાંથી પસાર થવાની મંજૂરી મળશે નહીં. અમે યુદ્ધની સ્થિતિમાં છીએ. આ વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર છે અને અમારા દુશ્મનો તથા તેમના સાથી દેશોના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ અન્ય દેશો માટે આ માર્ગ ખુલ્લો છે.
ઈરાને આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગની નાકાબંધી કરી દેતા વૈશ્વિક તેલ અને ગેસના ભાવોમાં ઉછાળો આવ્યો છે. આ સાંકડા દરિયાઇ માર્ગથી અંદાજે 20 ટકા તેલ અને LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ)નું પરિવહન થાય છે. ભારત માટે ઊર્જા પુરવઠાનો મુખ્ય સ્ત્રોત રહ્યો છે.
છેલ્લા થોડા અઠવાડિયામાં ભારતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે ઊર્જા પુરવઠો અવિરત રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજનૈતિક પ્રયાસો કર્યા છે.














