ચાન્સેલર ઋષી સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવીદ સહિત 50થી વધુ અન્ય નેતાઓના રાજીનામા બાદ નવ નિયુક્ત ચાન્સેલરે નદિમ જહાવી અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે વડા પ્રધાન બોરિસ જૉન્સનને રાજીનામું આપવા આગ્રહ કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જૉન્સને ગુરૂવારે તા. 7ના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. તેઓ જ્યાં સુધી ઓક્ટોબરમાં યોજાનાર કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન તરીકે ચાર્જમાં રહેશે.

ગયા મહિને અવિશ્વાસ મતમાં લગભગ બચી ગયેલા જૉન્સને ચૂંટાઇ આવનાર નવા નેતાને બને તેટલું સમર્થન આપવાનું વચન આપ્યું હતું અને અત્યાર સુધી જનતાએ આપેલા અપાર વિશેષાધિકાર માટે બ્રિટીશ જનતાનો આભાર માન્યો હતો. તેમણે આ માટે તેમના પક્ષની “ટોળા વૃત્તિ”ને દોષીત જણાવી હતી.

સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે “હું ઇચ્છું છું કે આપ સૌ જાણો કે વિશ્વની શ્રેષ્ઠ નોકરી છોડીને હું કેટલો દુઃખી છું. રાજકારણમાં, કોઈ પણ “રીમોટલી ઇન્ડીસ્પેન્સેબલ” નથી. જ્યાં સુધી ઓક્ટોબરમાં યોજાનાર કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચાર્જમાં રહીશ. હું અમારી બેકબેન્ચ સાંસદોના અધ્યક્ષ સર ગ્રેહામ બ્રેડી સાથે સંમત થયો છું કે નવા નેતાની પસંદગીની પ્રક્રિયા હવે શરૂ થવી જોઈએ અને તેનું સમયપત્રક આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. મેં આજે એક કેબિનેટની વરણી કરી છે.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’મને 2019ની સામાન્ય ચૂંટણીમાં “અતુલ્ય જનાદેશ” આપવામાં આવ્યો હતો અને તે જનાદેશને વ્યક્તિગત રૂપે પહોંચાડવાનું ચાલુ રાખવા માટે મેં છેલ્લા કેટલાક દિવસોમાં આટલો સખત સંઘર્ષ કર્યો છે. મને લાગ્યું કે તે મારું કામ છે, મારી ફરજ છે, 2019 માં અમે જે વચન આપ્યું છે તે કરવાનું ચાલુ રાખવું.”

છેલ્લા કેટલાક દિવસોના ઉચ્ચ ડ્રામાનો ઉલ્લેખ કરતા, જૉન્સને જણાવ્યું હતું કે ‘’મારા સાથીદારોને મેં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આવા “વિશાળ જનાદેશ” સાથે સરકારને બદલવાનું “તરંગી” હશે અને જ્યારે ટોરી પાર્ટી ફક્ત “મુઠ્ઠીભર પોઈન્ટ”થી પાછળ છે. જ્યારે આર્થિક પરિસ્થિતિ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એટલી મુશ્કેલ છે ત્યારે ચૂંટણીમાં તકલીફ પડશે. મને તે દલીલોમાં સફળ નહિં થવા બદલ અફસોસ છે. ઘણા બધા વિચારો અને પ્રોજેક્ટ્સ હોવા છતાં મારા કામને ન જોઈ શક્યા તે દુઃખદાયક છે.’’

તેમણે જણાવ્યું હતું કે “જેમ કે આપણે વેસ્ટમિન્સ્ટરમાં જોયું તેમ, ટોળાની વૃત્તિ શક્તિશાળી હોય છે અને જ્યારે ટોળું ફરે છે, ત્યારે તે આગળ વધે છે. અમારી તેજસ્વી ડાર્વિનિયન સિસ્ટમ અન્ય નેતા પેદા કરશે, જે આ દેશને કઠિન પરિસ્થિતિમાં આગળ લઈ જવા માટે સમાન રીતે પ્રતિબદ્ધ છે.’’

ચાન્સેલર સુનકની રાજીનામા બાદ નવા વરાયેલા અને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જૉન્સનનું સ્થાન લેવા માટે આગ્રીમ હરોળના નદિમ ઝહાવીએ પણ જૉન્સનને પદ છોડવા માટે નિંદા કરતો પત્ર લખી તેમની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતા અને ખસી જવાની માંગણી કરી હતી. નવા કેબિનેટ પદ પરથી રાજીનામું આપ્યા વગર જહાવીએ જણાવ્યું હતું કે “વડાપ્રધાન, તમે તમારા હૃદયમાં જાણો છો કે શું કરવું યોગ્ય છે, અને હવે જાઓ.”