સાયપ્રસના નિકોસિયામાં પ્રેસિડેન્શિયલ પેલેસ ખાતે 16 જૂને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાયપ્રસના પ્રેસિડન્ટ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ Iakovos Hatzistavrou/Pool via REUTERS

સાયપ્રસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમવાર, 16 જૂને દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ-IIથી સન્માન કરાયું હતું. સાયપ્રસના પ્રેસિડન્ટ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે વડાપ્રધાનને આ એવોર્ડ એનાયત કર્યો હતો. ભારતના ૧.૪ અબજ લોકોને આ પુરસ્કાર સમર્પિત કરતા મોદીએ કહ્યું હતું કે આ ભારત-સાયપ્રસની વિશ્વસનીય મિત્રતાનો પુરસ્કાર છે.

સાયપ્રેસની મુલાકાત દરમિયાન મોદીએ સાયપ્રસના પ્રેસિડન્ટ અને વડાપ્રધાન સાથે બેઠક કરી હતી. મોદી સાયપ્રસમાં ઇન્ડિયન ડાયાસ્પોરાના સભ્યોને પણ મળ્યાં હતાં. સાયપ્રસના પ્રેસિડન્ટ સાથેની વાતચીત બાદ મોદીએ જણાવ્યું હતું કે અમે બંને સંમત છીએ કે આ યુદ્ધનો યુગ નથી. મોદીએ સરહદ પારના આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સમર્થન આપવા બદલ સાયપ્રસનો પણ આભાર માન્યો હતો. તેમની વાતચીતમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEEC) અને ભારત-EU સંબંધોની પણ ચર્ચાવિચારણા કરી કરાઈ હતી.

મોદીએ  જણાવ્યું હતું કે ભારત આ વર્ષના અંત સુધીમાં યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા રાખે છે. 2026માં EU પ્રમુખપદ સંભાળી રહેલા સાયપ્રસે કહ્યું હતું કે સાયપ્રસની અધ્યક્ષતા હેઠળ EU-ભારત સંબંધોને મજબૂત બનાવવાની તેની પ્રાથમિકતા હશે.

મોદી અને ક્રિસ્ટોડોલિડ્સે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી, આરોગ્યસંભાળ, નવીનીકરણીય ઉર્જા અને આબોહવા ન્યાય જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વાતચીત કરી હતી. તેમણે પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચાવિચારણા કરી હતી.

બે દાયકાથી વધુ સમયમાં ભારતીય વડા પ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હતી. સોમવારે પ્રેસિડેન્શિયલ પેલેસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ક્રિસ્ટોડોલિડ્સે જણાવ્યું હતું કે અમે વડા પ્રધાન સાથે સાયપ્રસના મુદ્દા પર પણ ચર્ચાવિચારણા કરી હતી. સાયપ્રસના ઉત્તરીય ક્ષેત્રના કબજા અંગે તુર્કી અને સાયપ્રેસ વચ્ચે વિવાદ ચાલે છે.

 

LEAVE A REPLY