ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇ

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ બુધવાર, 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં પોરબંદર-છાયા અને નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, દેસાઈએ તેમના બજેટ ભાષણમાં 7 નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો જાહેર કર્યો હતો. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે. આની સાથે રાજ્યમાં મહાનગપાલિકાની સંખ્યા વધીને 17 થશે.

નાણાપ્રધાને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, “રાજ્યમાં શહેરીકરણનો દર વધી રહ્યો છે. એવો અંદાજ છે કે રાજ્યની લગભગ 50 ટકા વસ્તી હાલમાં શહેરી વિસ્તારોમાં રહે છે અને આ ટકાવારી 2047 સુધીમાં વધીને 75 ટકા થઈ જશે. શહેરી કેન્દ્રો માત્ર રહેવા માટેના સ્થળો તરીકે જ નહીં પરંતુ આર્થિક વિકાસ માટેના કેન્દ્રો પણ છે.

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, જ્યારે નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે, નડિયાદ અમદાવાદ અને વડોદરાની મધ્યમાં આવેલું ઝડપથી વિકાસ પામતું શહેર છે. લોકો અહીં રહેવાનું પસંદ કરે છે કારણ કે તેઓ બંને શહેરોમાં નોકરી પર જઈ શકે છે અને ઘરે પરત ફરી શકે છે.

આ સાથે ગુજરાતમાં નવ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો ભોગવે છે.

 

LEAVE A REPLY

eighteen − eleven =