ભારતમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા જાણીતી એરલાઇન્સ- એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલિનિકરણને મંજૂરી આપવામાં આવી છે. આથી હવે દેશની બંને મોટી એરલાઈન્સની સંયુક્ત કામગીરી શરૂ થશે, જેનાથી ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. જોકે, સંયુક્ત કંપનીના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. વિસ્તારા, એ તાતા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સનું સંયુક્ત સાહસ છે. એરલાઈન્સે વર્ષ 2022માં વિલિનિકરણની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સિંગાપોર એરલાઈન્સ પાસે એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો રહેશે. વિસ્તારા અને એર ઈન્ડિયામાં કુલ 120 પાયલટ ડેપ્યુટેશન પર છે. એર ઈન્ડિયા અને વિસ્તારામાં મળીને 23,500થી વધુ કર્મચારીઓ છે. બંને એરલાઇન્સના પાયલટ અને અન્ય કર્મચારીઓનું પણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે વિલિનિકરણ કરાશે અને તેમને સંપૂર્ણ માહિતગાર કરવામાં આવશે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)