અમદાવાદમાં કોરોના લોકડાઉન દરમિયાનનો ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોનોના નવા વેરિયન્ટની ચિંતા હોવા છતાં ગુજરાતના આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂમાં 1 કલાકની રાહત આપવામાં આવી છે. ગુજરાતની 8 મહાનગરપાલિકામાં હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂમાં રહેશે. રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એમ ગૃહ મંત્રાલયે મંગળવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું. આ નિયમો 10 ડિસેમ્બર સુધી અમલી રહેશે. રાજ્યમાં મંગળવાર સાંજ સુધીમાં કોરોનાના કુલ 40 કેસ નોંધાયા હતા અને એક્ટિવ કેસો 275 હતા.

આ સિવાય લગ્નપ્રસંગમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પરંતુ, સરકારના ઓનલાઈન પોર્ટલ પર લગ્નની નોંધણી કરાવવાની રહેશે. ગુજરાતના મુખ્ય 8 શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરમાં તારીખ 1 ડિસેમ્બર, 2021ના રોજ રાત્રે 1થી તારીખ 10 ડિસેમ્બર, 2021ના સવારના 5 કલાક સુધી (દરરોજ રાત્રિના 1થી સવારના 5 સુધી) રાત્રિ કર્ફ્યુ પૂર્વવત અમલમાં રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી બજાર-હાટ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાત્રિના 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. જ્યારે રેસ્ટોરન્ટ્સ રાત્રિના 12 કલાક સુધી મહત્તમ 75 ટકા બેઠક ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ચાલુ રાખી શકાશે.

હોમ ડિલિવરી તથા ટેક અવે પણ 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ 100 ટકા બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જીમ 75 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપીને આધિન ચાલુ રાખી શકાશે. અંતિમ ક્રિયા અને દફનવિધિ માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂર્વવત ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.