સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન’ શરૂ કર્યું.
ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે ₹80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) ₹69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) ₹11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

LEAVE A REPLY

5 + two =