સાઉથ સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના શો ‘મેન Vs વાઈલ્ડ’માં જોવા મળશે. કર્ણાટક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ વાતને કન્ફર્મ કરી છે. શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ફોરેસ્ટમાં થઈ રહ્યું છે. શૂટિંગ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. રજનીકાંત તથા બેયર ગ્રિલ્સ બાંદીપુર ફોરેસ્ટ તથા નેચર અંગે વાત કરશે.

શૂટિંગ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. સોમવારે રાત્રે 9.30 વાગે બેયર ગ્રિલ્સ ગુંડલુપેટ ટાઉન પહોંચી ગયો હતો. રજનીકાંત બાંદીપુરની બહાર એક રિસોર્ટમાં રોકાયા છે. બેયર ગ્રિલ્સની સાથે કુલ 18 ક્રૂ મેમ્બર્સ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તમામ માટે ગાડીની સગવડ કરી આપી છે.રજનીકાંત પહેલાં પીએમ નરેન્દ્ર મોદી આ શોમાં જોવા મળ્યાં હતાં. 12 ઓગસ્ટ, 2019ના રોજ ડિસ્કવરી ચેનલ પર ‘મેન Vs વાઈલ્ડ’માં પીએમ મોદી તથા બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યાં હતાં.

પીએમ મોદી તથા બેયરે ઉત્તરાખંડના જિમ કોર્બેટના જંગલોમાં શૂટિંગ કર્યું હતું. આ એપિસોડ દુનિયાની સૌથી ટ્રેડિંગ ટેલિવિઝન ઈવેન્ટ રહી હતી. આ એપિસોડે સુપરબોલ ઈવેન્ટને પણ પછાડી દીધી હતી. મોદી-બેયર ગ્રિલ્સના એપિસોડને 3.6 બિલિયન સોશિયલ ઈમ્પ્રેશન મળી હતી, જ્યારે સુપરબોલ ઈવેન્ટને 3.4 ઈમ્પ્રેશન મળી હતી. શો દરમિયાન પીએમ મોદીએ બેયર ગ્રિલ્સ સાથે રસપ્રદ કિસ્સાઓ શૅર કર્યાં હતાં.

ગ્રિલ્સે પીએમ મોદીને કહ્યું હતું કે જિમ કોર્બેટ ઘણો જ ખતરનાક વિસ્તાર છે. આ વાત પર પીએમ મોદીએ કહ્યું હતું, ‘જો પ્રકૃતિ સાથે સંઘર્ષ કરશો, નેચરની વિરુદ્ધમાં જશો તો તમને બધું જ જોખમી લાગશે. ત્યારે તમને માણસ પણ ખતરનાક લાગવા લાગશે પરંતુ જો તમે પ્રકૃતિની સાથે છો, તેને પ્રેમ કરો છે અને તેને બચાવવાનો પ્રયાસ કરશો તો જંગલી પશુઓ પણ તમને સાથ આપશે.’