ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વેરાવળ-સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું અને સમગ્ર રાજ્યના પ્રજાજનોને પર્વની શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય પ્રધાને તિરંગો લહેરાવ્યો ત્યારે એરફોર્સના હેલીકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
કોવીડ-19 ની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રોટોકોલ સાથે યોજાયેલા આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય પ્રધાને ખુલ્લી જીપમાં રાજયની વિવિધ પ્લાટુનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ખુલ્લી જીપમાં નિરીક્ષણ વખતે મુખ્ય સચિવ પંકજકુમાર અને પોલીસ વડા આશિષ ભાટિયા પણ સાથે હતા.