ગુજરાતના વતની અને જાણીતા ટેકનોક્રેટ સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી બુધવારે રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસનાં પ્રેસિડેન્ટે તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. આ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘સામ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પ્રેસિડેન્ટે તેમના રાજીનામાંનો સ્વીકાર કર્યો છે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, સામ પિત્રોડાનો એક વીડિયો બહાર આવ્યો હતો, જેમાં તેઓ ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરી હતી. જોકે, સામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસે પોતાને કોઇ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે તેમનું અંગત નિવેદન છે.

સામ પિત્રોડાએ એક ઇન્ટર્વ્યૂમાં વિવાદિત નિવેદનમાં આપતા જણાવ્યું હતું કે, ‘આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ. આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.’ તેમણે આવું નિવેદન આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેની સામે નવો વિવાદ ઊભો થયો છે.

આ અંગે જયરામ રમેશે સોશિયલ મીડિયામાં એક નિવેદન દ્વારા જણાવ્યું હતુ કે, ‘સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે થયેલી તુલના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ રાખે છે.’ બીજી તરફ તેલંગણાના વારંગલ ખાતે એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહેજાદાના એક અંકલે આજે ​​એવા અપશબ્દ કહ્યા કે જેનાથી મને ગુસ્સો આવી ગયો. જે લોકો બંધારણને માથે રાખે છે તેઓ દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે. શહેજાદાના એક અંકલ અમેરિકામાં રહે છે. આ અંકલ શહેજાદાના ફિલોસોફિકલ ગાઈડ છે, જેમ ક્રિકેટમાં થર્ડ અમ્પાયર હોય છે, અને જો કોઈ મૂંઝવણ હોય તો અમ્પાયરને પૂછે છે, તેવી જ રીતે જ્યારે શહેજાદાને કોઈ મૂંઝવણ હોય ત્યારે તે થર્ડ પ્લેયર પાસેથી સલાહ લે છે. શહેજાદાના અંકલે એક મોટું રહસ્ય ખોલ્યું છે. આ અંકલે કહ્યું છે કે ‘જેમની ચામડીનો રંગ કાળો છે, તે બધા આફ્રિકાના છે.’

 

LEAVE A REPLY

9 − 1 =