વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મહારાષ્ટ્રના પુણેમાં ચૂંટણી સભા દરમિયાન લોકોનું અભિવાદન કરે છે. (ANI Photo)

ગુજરાતમાં રાજા-મહારાજાના અપમાનનના મુદ્દે વિવાદ ઊભો થયો છે ત્યારે આ જ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વળતો હુમલો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે  તુષ્ટિકરણની રાજનીતિ ખાતર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારતના રાજાઓ-મહારાજાઓનું અપમાન કરે છે, પરંતુ નવાબો, નિઝામ, સુલતાન અને બાદશાહોએ ગુજારેલા અત્યાચારો પર મૌન રહે છે.

બેલાગવી, સિરસી, દાવંગેરે અને હોસાપેટેમાં ઉપરાછાપરી ચૂંટણીસભાઓ સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આપણા ઈતિહાસ અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના લખાણમાં પણ તુષ્ટિકરણ અને વોટબેંક રાજનીતિને ધ્યાનમાં રાખી હતી. આજે પણ કોંગ્રેસના શહજાદા તે પાપને આગળ ધપાવી રહ્યા છે. તમે કોંગ્રેસના શહજાદાનું તાજેતરનું નિવેદન સાંભળ્યું હશે. તેઓ કહે છે કે ભારતના રાજાઓ-મહારાજાઓ દમનકારી હતાં. તેમણે રાજાઓ-મહારાજાઓ પર લોકો અને ગરીબોની જમીનો અને મિલકતો પચાવી પાડવાનો આરોપ મૂક્યો છે. કોંગ્રેસના શહજાદાના નિવેદનો ઇરાદાપૂર્વકના છે, જેનો હેતુ મત-બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણ છે. શહજાદા રાજા-મહારાજાઓ વિશે ખરાબ બોલે છે, પરંતુ ભારતના નવાબો, નિઝામ, સુલતાન અને બાદશાહોએ કરેલા અત્યાચારને લઈને શહેઝાદાના મોં પર તાળું મારવામાં આવ્યું છે.

મોદીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને ઔરંગઝેબના જુલમો યાદ નથી. ઔરંગઝેબે આપણા સંખ્યાબંધ મંદિરોનો નાશ કર્યો હતો. કોંગ્રેસ ઔરંગઝેબના વખાણ કરતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરી રહી છે… તેઓ એવા લોકોને યાદ નથી રાખતા, જેમણે ધાર્મિક સ્થળોનો નાશ કર્યો,  ગાયોની હત્યામાં સંડોવાયેલા છે, તેઓ એવા નવાબને યાદ નથી કરતા, જેમણે ભારતના ભાગલામાં ભૂમિકા ભજવી હતી.

LEAVE A REPLY

19 − 16 =