OLYMPUS DIGITAL CAMERA
  • અમિત રોય દ્વારા

એસપીના નામે ઓળખાતા શ્રીચંદ પરમાનંદ હિન્દુજા અન્ય લોકો માટે ખરેખર કેવા હતા? હું કહું છું કે ‘’તેઓ ખરેખર સારા માણસ હતા. નોંધપાત્ર રીતે વિનમ્ર હતા. થોડા ગુસ્સે પણ હોય તો પણ તેમના સ્નેહ દર્શાવવાની ભારતીય રીત હતી. તેમના ઘરના દરવાજા દરેક માટે ખુલ્લા રહેતા હતા. આજે તેઓ આપણી સાથે નથી ત્યારે હું સેન્ટ જેમ્સીસ પાર્કમાં અમારી વોકને ચૂકીશ કેમ કે તેઓ તેમની અડધી ઉંમરની વ્યક્તિ કરતા વધુ ઝડપથી ચાલતા હતા.’’

10 વર્ષ પહેલા તેમની લાઇફ સ્ટોરી સાંભળવા તેમના કાર્લટન હાઉસ ટેરેસ એપાર્ટમેન્ટમાં, અમે બે થી ત્રણ કલાક સુધી ચાલેલા લગભગ 30 સેશન કર્યા હતા. તમે તેમની સાથે વાતો કરતા હો તો તમને લાગે જ નહિં કે તમે ઈસ્ટર્ન આઈના 2023ના એશિયન રિચ લિસ્ટ મુજબ £30.5 બિલિયનની સંપત્તિ ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારનું નેતૃત્વ કરનાર સાથે વાત કરો છે. એસપી વિશે કહીએ તો તેઓ ખરેખર રાજાઓ સાથે ચાલ્યા હતા. તેમને ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રેઝા પહલવી સાથે મિત્રતા હતી પરંતુ ક્યારેય સામાન્ય માણસનો સંપર્ક ગુમાવ્યો નથી.’’

1992માં તેમના એકમાત્ર પુત્ર ધરમના દુ:ખદ અવસાન પછી તેઓ અત્યંત સંવેદનશીલ હતા. મેં તેમને કેમ્બ્રિજમાં બાઇક સાથે પોઝ આપતા અને મુંબઈના જુહુમાં બીચ પર આવેલા હિન્દુજા પરિવારના બંગલામાં ઝૂલા પર હિંચકા ખાતા જોયા છે. તો કાન ફિલ્મ ફેસ્ટિવલ અને માતા-પિતાનું નામ ધરાવતી ‘પરમ જમુના’ યાટ પર નંદ કરતા જોયા છે. મને કેટલીકવાર લાગતું કે તેઓ પોતાની વાર્તાઓને ગુંથી રહ્યા છે. તેમણે મને કહ્યું હતું કે પ્રિન્સેસ ડાયના “ડિનર માટે ઘરે આવી હતી”. તો અન્ય પ્રસંગે, તેઓ માઈકલ જેક્સનને લંડનના એક હિંદુ મંદિરે લઈ ગયા હતા અને પછી તેને ઘરે લાવી શાકાહારી ભોજન જમાડ્યું હતું જેનો અમેરિકન સ્ટારે આનંદ લીધો હતો. એસપીએ મને તેમના ફોટોગ્રાફ્સ અને ડાયનાની આભારની નોંધ પણ બતાવી હતી.’’

વેપાર જગતના અગ્રણી ભારતીય અગ્રણી તરીકે, તેઓ હંમેશા પારિવારિક એકતામાં માનતા હતા. એકવાર ધીરુભાઈ અંબાણીએ તેમના પુત્રો, મુકેશ અને અનિલ વચ્ચે વધતા જતા મતભેદો વિશે તેમની સલાહ માંગી હતી. એસપીને થોડા વર્ષો પહેલા “લેવી બોડી ડિસીઝ’ નામના ડિમેન્શીયા હોવાનું નિદાન થયું હતું. તે પહેલાં, એસપી માનતા હતા કે તેમના અને નાના ભાઈઓ, ગોપી, પ્રકાશ અને અશોક વચ્ચે દરરોજ સંપર્ક હોવો જોઈએ અને તે પરિવારના સભ્યો વચ્ચે કોઈ રહસ્ય ન હોવું જોઈએ. જે વલણ ત્રીજી અને ચોથી પેઢી સુધી ફેલાયેલું છે.

એસપી બીમાર હોવાને કારણે, ગોપીચંદ હિન્દુજાએ ઘણા વર્ષો સુધી બિઝનેસ સામ્રાજ્યની અધ્યક્ષતા કરી છે, તેથી એવું વિચારવાનું કોઈ કારણ નથી કે આ શો ભૂતકાળની જેમ ચાલુ રહેશે નહીં.

SP એ મને કહ્યું હતું કે ‘’હું ખિસકોલી પાસેથી ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ વિશે શીખ્યો હતો. જો તમે ખિસકોલીને બે બદામ આપો, તો તે એક ખાશે અને બીજીને વરસાદના દિવસોમાં ખાવા માટે દાટી દેશે. તે ક્યારેય લોભી હોતી નથી. પ્રકૃતિ મારી શિક્ષક છે.”

1979ની ઈરાન ક્રાંતિ પછી હિન્દુજા બ્રધર્સે તેમનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક તેહરાનથી લંડન ખસેડ્યું હતું. પરંતુ એસપીએ ઈસ્લામિક વિશ્વ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખવા સંપૂર્ણ રાજદ્વારી કુશળતા દર્શાવી હતી. લંડનમાં હિન્દુજાના કાર્લટન હાઉસ ટેરેસમાં એપાર્ટમેન્ટ્સ અને મેન્શનના મૂળ ઊંડા છે.

એસપીએ કહ્યું હતું કે “ધરમની વિનંતી પર, હું મારો બેઝ કેનેડામાં શિફ્ટ કરવાનું વિચારી રહ્યો હતો. અમે અમેરિકામાં ટેક્સ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યા પછી અને ટાઇમ ઝોનના દૃષ્ટિકોણથી લંડન પસંદ કર્યું. વૈશ્વિક કામગીરી માટે લંડન શ્રેષ્ઠ છે.”

એસપીએ તેમના પિતા પાસેથી વારસામાં મળેલા ખાસ કરીને “વર્ક ટુ ગીવ”, અને “થિંક લોકલ, વર્ક ગ્લોબલ” જેવા સિદ્ધાંતોને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓ કહે છે કે “મારા પિતાએ એક સિદ્ધાંત બનાવ્યો હતો કે તેઓ ક્યારેય ફરી નહિં જાય. મારો શબ્દ મારૂ બંધન રહેશે. અને આજ દિન સુધી, હિન્દુજા ક્યારેય ડિફોલ્ટ થયા નથી.”

એસપીના પિતા, પરમાનંદ દીપચંદ હિંદુજાનો જન્મ હાલના પાકિસ્તાનના સિંધના શિકારપુરમાં 25 નવેમ્બર, 1901ના રોજ થયો હતો. તો એસપીનો જન્મ 28 નવેમ્બર, 1935ના રોજ શિકારપુરમાં થયો હતો.

એસપીએ તેમના બાળપણ વિશે અને કૌટુંબિક વ્યવસાયની શરૂઆત વિશે જણાવ્યું હતું કે “હિંદુજા નામ મૂળ સિંધુજા હતું, જેનો અર્થ સિંધુ નદીના કિનારે થાય છે, પરંતુ પછીથી સિંધુજા હિન્દુજા બની ગયું. મારા વડવાઓ વેપારી અને મની ચેન્જર્સ હતા – તેઓ આજે આપણે જેને કાઉન્ટર ટ્રેડ અને મર્ચન્ટ બેન્કિંગ કહીએ છીએ તેમાં સામેલ હતા. તેમણે પ્રોડક્ટ્સ ખરીદીને વેચી હતી. અફઘાનિસ્તાન, ઈરાન, આરબ વિશ્વ સહિત બ્રસેલ્સ સાથે વેપાર કર્યો હતો. તે દિવસોમાં, લોકો ગધેડા, ઊંટ, ઘોડા, ટટ્ટુ પર મુસાફરી કરતા અને દેશી હોડીઓમાં પાણીના પટને પાર કરતા.”

પરમાનંદે માત્ર નવ વર્ષના વયે પિતા ગંગારામને ગુમાવ્યા હતા. પરમાનંદને “અહેસાસ થયો હતો કે તેમના બિઝનેસને વિસ્તારવા માટે, તેમણે વાણિજ્યના કેન્દ્ર, બોમ્બે જવું પડશે. જેથી તેઓ 14 વર્ષની વયે 1914માં એક સદી કરતા પણ વધુ સમય સુધી વિકસેલો પારિવારિક બિઝનેસ કરવા બોમ્બે ગયા હતા. તેઓ થોડીક ઇંગ્લિશ, સિંધી અને હટ્ટાઈ તરીકે ઓળખાતી કોડેડ બિઝનેસ ભાષા પણ જાણતા હતા. બોમ્બેમાં, તેમણે મૂળભૂત રીતે, કાપડ, મસાલા, જ્યુટ અને ચાની નિકાસ અને જીરું અને સૂકા ફળોની આયાત કરવાનો બિઝનેસ કરતા તેમના મામા પાસેથી તાલીમ લીધી હતી.”

એસપી કહે છે કે ‘’ઈરાન સાથેના સંબંધો ઘણા વર્ષો પહેલાના છે. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી મંદીના સમયે મારા પિતાએ 500 ગાંસડી કપાસની ખરીદી કર્યા બાદ સંભવિત નાદારીનો સામનો કર્યો હતો. તેમણે પોતાનો બિઝનેસ બગદાદ, બસરા, ખોરમશહર, બંદર અબ્બાસ અને અહવાઝ સુધી લઈ જઈને આ પડકારને પાર કર્યો હતો. 1938-39માં, જ્યારે શાહના પિતા રેઝા ખાન ઈરાન પર શાસન કરતા હતા, ત્યારે અસરકારક રીતે ચાર્જ ધરાવતા અંગ્રેજો અધિકારીઓના દરજ્જાના પુરુષો માટે હેટ પહેરવી ફરજિયાત બનાવશે એમ સાંભળી મારા પિતાએ બોમ્બેમાં રહેતા ભાઈને બધી હેટ્સ ખરીદવા કહ્યું હતું. હેટ પહેરવાનો કાયદો બનતા જ હેટ વેચનાર પ્રથમ માણસ અમે હતા.”

એસપીના સૌથી મોટા ભાઈ ગિરધરનું ફૂડ પોઈઝનિંગથી અકાળે મૃત્યુ થયું હતું. તે વખતે ખાસ પરવાનગી લઇને તેહરાનમાં પ્રથમ વખત હિન્દુ અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમના અન્ય ભાઈ-બહેનો ગોપી (1941), પ્રકાશ (1945) અને અશોક (1950)નો અને જોડિયા છોકરીઓનો જન્મ 1924માં થયો હતો. ત્યારબાદ 1926માં શાંતિ, 1932માં સુશીલા અને 1947માં શોભાનો જન્મ થયો હતો. તેમના પિતાનું 1971માં મૃત્યુ થયું હતું તો માતા 1973માં મરણ પામ્યા હતા.”

એસપી યાદ કરે છે કે “વડીલોએ મને પ્રેક્ટીકલ ગણિત શીખવ્યું હતું. જેમ કે ચાર પાઈની ચાર નારંગી મળે, તો 20 નારંગી માટે તમે કેટલા આપશો? બીજો પાઠ ક્યારેય નફાખોરી નહિં કરવાનો હતો. વફાદાર ગ્રાહકોને નફા માટે ક્યારેય ન છોડો. તમે તેમની પાસેથી બીજી વખત વધુ નફો કરી શકશો. અમને સિંધુ નદીમાં લગભગ ડઝન કેરીઓ ભરી હોય તેવા માટલાને ઉંધુ કરીને તરતા શીખવાયું હતું. જ્યારે અમે શિકારપુરથી નીકળ્યા ત્યારે અમે દાટેલું સોનું અને ખજાનો છોડીને નીકળ્યા હતા જે હજી પણ ત્યાં છે. અમે પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ ઝિયા ઉલ-હક સાથે તે પાછું મેળવવાનો કરાર કરી શક્યા નહતા. મેં 17 વર્ષની ઉંમરે મારા કૌટુંબિક બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો અને તે જ ઉંમરે મારા ભાઈઓને પણ લવાયા હતા. મારા પિતાએ બજારમાંથી તાજા શાકભાજી કેવી રીતે ખરીદવા તે શીખવ્યું હતું.’’

એસપીએ કહ્યું હતું કે ‘’લગ્નના 60 વર્ષ બાદ જાન્યુઆરી 2023માં પત્ની મધુનું નિધન થયું હતું. 1963માં મેં મારા ભાભીના બહેન મધુ સાથે લગ્ન કર્યાં હતા.’’

એસપી પાસે સંખ્યાબંધ વિલક્ષણતા હતી. તેમના પરિવાર પાસે લંડન, મુંબઈ, કલકત્તા, દિલ્હી, ચેન્નાઈ, પેરિસ, કાન, ન્યુ યોર્ક અને જીનીવામાં ઘરો છે અને કોઈ વિકલ્પ ન હોય તો જ તેઓ હોટલોમાં રોકાય છે. તેમના પત્ની એમ કહીને વિરોધ કરતા કે કેટલા ચાદર, તકિયા અને કટલરી લેવાની છે?’ તો એસપી હસીને કહેતા કે “હોટલોમાં તમારી સામેથી વેશ્યાઓ અંદર-બહાર જતી હોય છે.”

દીકરીઓને બિઝનેસમાં લાવવાની વાત આવી ત્યારે જૂના જમાનાના એસપીએ “માત્ર પુત્રો”ને પસંદ કર્યા હતા. એસપીએ કહ્યું હતું કે “કોઈ વસ્તુ ખરીદતા પહેલા અમે પરિસ્થિતિનો અભ્યાસ કરીએ છીએ અને બધી માહિતી મેળવીએ છીએ. જ્યારે અમે આગળ વધીએ ત્યારે વીજળીની જેમ પ્રહાર કરીએ છીએ અને પછી કોઈ અમને રોકી શકતું નથી. અમારો આ બિઝનેસ હવે બેન્કિંગથી લઈને ઓઈલ, રિયલ એસ્ટેટ, આરોગ્ય, સંરક્ષણ અને ઓટોમોટિવ સેક્ટર સુધીના ડઝન ક્ષેત્રનો છે. નવીનતમ પ્રોજેક્ટ વ્હાઇટહોલમાં ઓલ્ડ વોર ઓફિસનું કન્વર્ઝન કરીને લક્ઝરી રેફલ્સ હોટેલ અને રહેણાંક સંકુલ બનાવવાનો છે. ત્રીજી પેઢીના ગોપીચંદ જીના પુત્રો, સંજય અને ધીરજ, પ્રકાશના અજય અને રામક્રિશન (“રેમી”), અને અશોકના શોમ, તેમના વડીલોના માર્ગદર્શનથી પોતપોતાના ક્ષેત્રો ચલાવે છે.

એસપીએ કહ્યું કે ‘’ભારતનું વિભાજન સૌથી મોટી ભૂલ હતી. તમે એક દેશના ટુકડા કેવી રીતે કરી શકો? આજ સુધી આપણે સહન કરી રહ્યા છીએ.  વિભાજન વખતે અમે એક જ વસ્તુ બહાર લાવી શક્યા હતા જે એક ઘોડો હતો જે પરિવારના દરેક સભ્યને ઓળખતો હતો અને તે 17 વર્ષ સુધી જીવ્યો હતો.’’

LEAVE A REPLY

5 × three =