આર્થિક અને રાજકીય કટોકટીમાં સપડાયેલા શ્રીલંકાના લોકો અસહ્ય મોંઘાવારીનો સામનો કરી રહ્યાં છે. બુધવારની રાત્રીથી 450 ગ્રામ બ્રેડના ભાવમાં રૂ.20નો અને બીજી બેકરી આઇટમના ભાવમાં રૂ.10નો વધારો થશે. સ્થાનિક બજારમાં ઘઉંના લોટના ભાવમાં 400 ટકા સુધીના અસાધારણ વધારાને કારણે ઇન્ડસ્ટ્રી એસોસિયેશનને આ જાહેરાત કરી હતી.

ઓલ સિલોન બેકરી ઓનર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ એન કે જયવર્દનને ટાંકીને શ્રીલંકાના ડેઇલી મિરર ન્યૂઝે જણાવ્યું હતું કે ઘઉંના લોટના ભાવમાં સોમવારે રૂ.32ના ભાવવધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના એક કિગ્રા લોટ રૂ.84.50ના ભાવે વેચાતો હતો. આ ભાવ હવે વધીને રૂ.300થી વધુ થયા છે. તેમણે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય રૂ.400ને વટાવી ગયું નથી, પરંતુ સ્થાનિક બજારમાં ઘઉંના લોટનો ભાવ વધીને રૂ.300 થયો છે.

શ્રીલંકાની આશરે 2.2 કરોડની વસતિ હાલમાં અસાધારણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ અને બીજા આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત છે અને ભાવ એટલા વધી ગયા છે કે લોકો માટે ખરીદી કરવાનું મુશ્કેલ છે. સ્કૂલો બંધ કરાઈ છે. ઇંધણની ભારે અછતને કારણે દર્દીઓ માટે હોસ્પિટલ સુધીનો પ્રવાસ કરવાનું પણ મુશ્કેલ બન્યું છે. લોકોના વિરોધ પ્રદર્શનનને પગલે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

શ્રીલંકાના પૂર્વ નાણા પ્રધાનને દેશ છોડી ભાગી જતાં અટકાવાયા

શ્રીલંકામાં પ્રચંડ જનાક્રોશ વચ્ચે પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે ત્યારે તેમના નાના ભાઈ અને ભૂતપૂર્વ નાણાપ્રધાન બાસિલ રાજપક્ષેએ કોલંબો એરપોર્ટના વીઆઇપી ટર્મિનલથી દુબઈ   ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કોલંબો એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા. આ નાણાપ્રધાનના કાર્યકાળમાં જ શ્રીલંકા ભયંકર આર્થિક કટોકટીમાં સપડાયું છે. શ્રીલંકાના ઇમિગ્રેશન ઓફિસર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે દુબઈ માટેની એમિરાટ્સની ફ્લાઇટના પેસેન્જરોએ પૂર્વ નાણાપ્રધાનને ભાગી જતાં અટકાવવા માટે ભારે વિરોધ કર્યો હતો.

 

 

આના થોડા કલાકો પછી પૂર્વ પીએમ મહિન્દ્રા રાજપક્ષે અને રાજપક્ષે સરકારના વગદાર અધિકારીઓને દેશ છોડીને ભાગી જતાં અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

 

શુક્રવારે લોકોના વિદ્રોહ પછીથી પ્રેસિડન્ટ કોઇ ગુપ્ત સ્થળે છૂપાઈ ગયા છે. પ્રેસિડન્ટે 13 જુલાઈએ રાજીનામું આપવાની સંસદના સ્પીકર મહિંદાયાપા અબેયવર્દન અને વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘને માહિતી આપી હતી. સ્પીકર બુધવારે પ્રેસિડન્ટના રાજીનામાની સત્તાવાર જાહેરાત કરે તેવી ધારણા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પ્રેસિડન્ટ રાજપક્ષેએ 13 જુલાઈની અસરથી રાજીનામાના પત્ર પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા અને રાજીનામું સ્પીકરને મોકલી આપ્યું છે.