Suicide attempt of elderly NRI couple in Ahmedabad
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના ફેલિફોર્નિયાથી અમદાવાદ રહેવા આવેલું એક વૃદ્ધ NRI કપલ ગુરુવાર, 12 જાન્યુઆરીએ પોતાના ઘરમાંથી લોહીલૂહાણ હાલતમાં મળી આવ્યું હતું. આ દંપતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. આ ઘટનામાં 69 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેમના 73 વર્ષીય પતિને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર કિરણ ભાઉ અને તેમના પત્ની ઉષા ભાઉ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતાં હતાં, અને એક વર્ષ પહેલા અમદાવાદ આવ્યા થયાં હતાં. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં કોર્પોરેટ રોડ પર આવેલી ઓર્કિડ એક્ઝોટિકામાં આ કપલે ફ્લેટ ખરીદ્યો હતો અને તેઓ તેમાં જ રહેતા હતા.

પોલીસને આશંકા છે કે, કિરણ ભાઉએ પોતાની પત્ની ઉષા પર ધારદાર હથિયારથી હુમલો કર્યા બાદ પોતે પણ શરીર પર તેના ઘા માર્યા હતા. પોલીસ જ્યારે તેમના ફ્લેટ પર પહોંચી ત્યારે ઉષા ભાઉનું મોત થઈ ચૂક્યું હતું જ્યારે કિરણના શ્વાસ ચાલી રહ્યા હતા. તેમને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ ઘટના બની તે દિવસે સવારે પોણા સાત વાગ્યે કિરણ ભાઉએ પોતાના ભત્રીજાને એક મેસેજ કર્યો હતો, જેમાં તેમણે માત્ર એટલું લખ્યું હતું કે પોતે જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારબાદ તેમનો ફોન બંધ થઈ ગયો હતો. તેમનો ભત્રીજો પાલડી રહે છે, તેણે કાકાનો મેસેજ જોતા જ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કર્યો હતો. કોલ મળ્યાની 15 મિનિટમાં જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ ઘરનો દરવાજો અંદરથી લોક હતો. ફાયરબ્રિગેડે દરવાજાને તોડી નાખતા પોલીસ અને ફાયરની ટીમ અંદર પહોંચી હતી. તે વખતે ઘરમાં ઉષાબેન અને કિરણભાઈ લોહીલૂહાણ હાલતમાં પડ્યા હતા અને બંનેના શરીર પર ધારદાર હથિયારના અનેક ઘા વાગેલા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ક્રાઈમ સીન પરથી બે ચાકૂ મળી આવ્યા હતા, જેમને હાલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પહેલી નજરે એવું લાગી રહ્યું છે કે, કિરણ ભાઉએ ઉષાને ચાકૂના ઘા મારી તેની હત્યા કરી નાખી અને પછી પોતે પણ તે જ રીતે જીવન ટૂંકાવવા પ્રયાસ કર્યો.

LEAVE A REPLY

2 + 8 =