વલસાડમાં સોમવાર, 11 જુલાઈએ ભારે વિસ્તારથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા(ANI Photo)

ગુજરાતમાં નર્મદા, વલસાડ, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં આભ ફાટતાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે આઠ જિલ્લાઓમાં રેડ એલર્ડ જાહેર કર્યો છે. સોમવારે (11 જુલાઇ)એ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વરસાદને કારણે ગુજરાતમાં થયેલી તારાજી અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદને કારણે કુલ 63 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે કુલ 10,674 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં SDRF અને NDRFની 18-18 ટીમો કાર્યરત આજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 17 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં 10 જૂન સુધી કુલ સ્થળાંતર વિશે વિગતો આપતાં પ્રધાને કહ્યું હતું કે, આણંદમાં 630, દેવભૂમિ દ્વારકામાં 120, કચ્છમાં 130નું સ્થળાંતર કરાયું હતું. આ ઉપરાંત પોરબંદરમાં 801 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જેમાંથી 388 લોકો પરત ફર્યા છે, છોટા ઉદેપુરમાં 5,278 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જેમાંથી તમામ લોકો ઘરે પરત ફર્યાં છે. તાપીમાં 235માંથી 71 લોકો આશ્રયસ્થાનોમાં છે. જ્યારે 2902 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જેમાંથી તમામ લોકો ઘરે પરત ફર્યાં છે. વલસાડની અંદર 469માંથી 350 લોકો આશ્રય સ્થાનમાં છે. નર્મદામાં 85 લોકોનું સ્થળાંતર કરાયું હતું. ગુજરાતમાંથી કુલ 10,674 લોકોનું કુલ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 3821 લોકો આશ્રયસ્થાનમાં છે, અને 6853 લોકો ઘરે પરત ફર્યાં છે

મોતના આંકડા જણાવતાં મહેસૂલ પ્રધાને જણાવ્યું હતું કે, 1 જૂન 2022થી 9 જુલાઈ 2022 સુધીમાં કુલ 56 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 લોકોનાં મોત નિપજ્યા છે. આમ કુલ અત્યાર સુધી કુલ 63 લોકોના  મૃત્યુ થયા છે. 1 જૂનથી 9 જુલાઈ સુધીમાં 264 પશુ મૃત્યુ થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 8 પશુઓનાં મોત નિપજ્યા છે. અત્યાર સુધી વરસાદના કારણે કુલ 272 પશુઓનાં મોત નિપજ્યા છે. સૌથી વધારે મોત વીજળી પડવાને કારણે થયા છે. વીજળી પડવાને કારણે 33 લોકોનાં મોત નિપજ્યા છે. દિવાલ પડવાને કારણે 8 લોકોનાં મોત નિપજ્યા છે. ડૂબવાને કારણે માત્ર 16 મૃત્યુ થયા છે, ઝાડ પડવાને કારણે 5 લોકોનાં તો વીજળીનો થાંભલો પડવાને કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમ કુલ 63 લોકોનાં મોત નિપજ્યા છે.

મકાનોના નુકસાનની માહિતી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 1 જૂનથી 9 જુલાઈ સુધીમાં કુલ 18 મકાનો પૂર્ણ નુકસાન પામેલાં છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 મકાનોને પૂર્ણ નુકસાન પહોંચ્યું હતું, એમ કુલ 25 મકાનો સંપુર્ણ નુકસાન પામેલાં છે. બીજી બાજુ કુલ 11 ઝુપડાને પૂર્ણ નુકસાન થયું છે. અત્યાર સુધી કુલ 508 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

રેસ્ક્યૂ અંગે વિગતો આપતાં તેઓએ કહ્યું કે, આણંદ ખાતે 1 જુલાઈના રોજ અતિભારે વરસાદથી સિસવા ગામેથી 17 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તાપીમાં અંતઃપુર ખાતેથી 39 લોકોને, છોટા ઉદેપુરના બોડેલીમાં દિવાન ફળિયું પડી જતાં 50 લોકો સહિત 508 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 468 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. SDRFની કુલ 18 ટીમો બે ભાગમાં વિભાજિત છે. NDRFની 18 ટીમો પણ કાર્યરત છે.