બાંગ્લાદેશમાં 2024માં શેખ હસીના સરકારના પતન પછી યોજાયેલી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નો બે તૃતીયાંશ બહુમતી સાથે ભવ્ય વિજય થયો હતો. રાષ્ટ્રીય સંસદની કુલ 299 બેઠકોમાંથી બીએનપી અને તેના સાથી પક્ષોને 212 મળી હતી, જ્યારે કટ્ટરવાદી જમાત-એ-ઇસ્લામી અને તેના સાથી પક્ષોને 70 બેઠકો જીતી હતી.
બીએનપી નેતા તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લે તેવી પૂરી સંભાવના છે. તારીક રહેમાન ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ઝિયાઉર રહેમાન અને ત્રણ વખતના વડાપ્રધાન ખાલિદા ઝિયાનાના પુત્ર છે અને તેઓ 18 વર્ષ સુધી યુકેમાં રહ્યાં પછી ડિસેમ્બરમાં રાજધાની ઢાકા પાછા ફર્યા હતાં.
20 વર્ષ પછી સત્તામાં પરત ફરેલી BNPએ જનતાનો આભાર માન્યો હતો અને શુક્રવારે રાષ્ટ્ર અને તેના લોકો માટે ખાસ પ્રાર્થના કરવાની હાકલ કરી હતી. પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જંગી સરસાઈથી જીતવા છતાં કોઈ ઉજવણી સરઘસ કે રેલીનું આયોજન કરાશે નહીં.
શેખ હસીનાને ઉથલાવી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા યુવા કાર્યકરોના નેતૃત્વ હેઠળની નેશનલ સિટીઝન પાર્ટી (NCP)એ 30 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર પાંચમાં વિજય થયો હતો. નેશનલ સિટીઝન પાર્ટી જમાતની આગેવાની હેઠળના ગઠબંધનમાં ચૂંટણી લડી હતી.
ઢાકા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર સેલીમ રાયહાને રોઇટર્સને જણાવ્યું કે મજબૂત બહુમતીથી BNPને સુધારાઓને અસરકારક અમલ કરવામાં મદદ મળશે. તેનાથી દેશમાં રાજકીય સ્થિરતા પણ આવશે.
ચૂંટણીઢંઢેરામાં બીએનપીએ રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવા, ઓછી આવક ધરાવતા અને સીમાંત પરિવારોનું રક્ષણ કરવા અને ખેડૂતોને વાજબી ભાવ સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું.
બીએનપી નેતા તારિક રહેમાનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને બાંગ્લાદેશમાં અમેરિકાના રાજદૂત બ્રેન્ટ ટી. ક્રિસ્ટેનસન ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન આપ્યાં હતાં.
ગુરુવારે મોડી રાત્રે ચૂંટણીના ટ્રેન્ડ સ્પષ્ટ થયા પછી ઇસ્લામિક જમાત-એ-ઇસ્લામીએ હાર સ્વીકારી લીધી હતી જોકે તેને જણાવ્યું હતું કે તે પ્રક્રિયાથી સંતુષ્ટ નથી, પરંતુ કાર્યકારોએ ધીરજ રાખવી જોઇએ.
અગાઉની BNPની સરકારો દરમિયાન ભારત સાથેના બાંગ્લાદેશના સંબંધો સારો રહ્યાં નથી. તેમ છતાં કોઈપણ સ્થિતિમાં તારિક રહેમાનની પાર્ટી જમાત-એ-ઇસ્લામી કરતા વધુ સારી સાબિત થશે. જમાત-એ-ઇસ્લામીનો વૈચારિક ઝુકાવ લાંબા સમયથી પાકિસ્તાન તરફી રાજકારણ અને ઇસ્લામી કટ્ટરપંથી વિચારસરણીની નજીક રહ્યો છે. જો તેને સ્પષ્ટ બહુમતી મળી હોત, તો ભારતના પૂર્વોત્તર રાજ્યોની સરહદો પર અસ્થિરતા, કટ્ટરપંથી નેટવર્કની સક્રિયતા અને ઘૂસણખોરી જેવી ચિંતાઓ પેદા થવાની શક્યતા હતી.
જમાતે આ ચૂંટણીમાં ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું, પરંતુ ભૂતકાળમાં તે હંમેશા ભારત વિરોધી લાગણીઓને ભડકાવનારું રહ્યું છે. બહુમતીથી દૂર રહેવું એ સંકેત આપે છે કે બાંગ્લાદેશની સત્તા સંપૂર્ણપણે વૈચારિક ધ્રુવીકરણની દિશામાં ગઈ નથી. ભારત અને બાંગ્લાદેશના સંબંધો માત્ર રાજકીય નથી, પરંતુ માળખાકીય રીતે જોડાયેલા છે. પૂર્વોત્તર ભારતના જોડાણમાં બાંગ્લાદેશની ભૂમિકા નિર્ણાયક છે. BNP માટે આ પ્રોજેક્ટ્સ રોકવા આર્થિક રીતે નુકસાનકારક રહેશે. તેનાથી ઉલટું, તેને આગળ વધારવાથી તેમની સ્થાનિક સ્તરે વિકાસલક્ષી છબી મજબૂત થશે.














