ફાઇલ ફોટો (ANI Photo)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ અગાઉ ઇન્ડિયન એરફોર્સ એક જોરદાર એર શો કરશે. ભારતીય એરફોર્સના સૂર્યકિરણ વિમાનોની એરોબેટિક ટીમ આ એર શોમાં ભાગ લેશે. ભારતીય એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં નવ વિમાન સામેલ છે અને તેમણે દેશભરમાં અનેક એર શોમાં ભાગ લીધો છે. સૂર્ય કિરણ વિમાનો જ્યારે વિક્ટરી ફોર્મેશનમાં લૂપ બનાવે છે ત્યારે તેને જોનારાઓ દંગ રહી જતા હોય છે.

ગુજરાતના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે રવિવારે ફાઈનલ શરૂ થાય તે પહેલાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ 10 મિનિટ માટે દર્શકોનું મનોરંજન કરશે અને એક એર શો યોજશે. શુક્રવારે આ માટે રિહર્સલ કરવામાં આવ્યા હતા અને શનિવારે પણ રિહર્સલ થશે.

વિશ્વકપની છેલ્લી અને સૌથી મહત્ત્વની મેચ પહેલા ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ આસમાને છે. ભારતીય ટીમ ગુરુવારે જ મુંબઈથી અમદાવાદ આવી પહોંચી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલની તમામ ટિકિટ ઘણા સમય અગાઉથી વેચાઈ હતી હતી અને અમદાવાદ માટે વિમાન ભાડા પણ આસમાને પહોંચ્યાં છે.

LEAVE A REPLY

four × 1 =