(Photo by Oleg Nikishin/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુલેટની જગ્યાએ વેપાર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવી દીધું હોવાનો શુક્રવારે ફરી એકવાર દાવો કર્યો હતો. ટ્રમ્પે આ સોદા માટે પોતાને સૌથી વધુ ગર્વ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાનને કહ્યું હતું કે જો તેઓ સંઘર્ષ બંધ નહીં કરે તો અમેરિકા બંને દેશો સાથે વેપાર બંધ કરશે. જોકે વેપારની ઓફરથી લડાઈ બંધ કરાવી હોવાના ટ્રમ્પના દાવાને ફગાવી દેતા ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેની લશ્કરી અથડામણ દરમિયાન ભારતીય અને અમેરિકન નેતાઓ વચ્ચેની વાટાઘાટોમાં વેપારનો મુદ્દો બિલકુલ ચર્ચામાં આવ્યો ન હતો.

ટ્રમ્પે જણાવ્યું હતું કે મને સૌથી વધુ ગર્વ તે ડીલ પર છે કે ભારત અને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરી હતી અને અમે બુલેટની જગ્યાએ વેપાર દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધને રોકી શક્યા હતાં. સામાન્ય રીતે તેઓ ગોળીઓ દ્વારા આવું કરે છે. અમે વેપાર દ્વારા તે કરીએ શક્યા છીએ. તેથી મને તેના પર ખૂબ ગર્વ છે. કોઈ તેના વિશે વાત કરતું નથી. પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ જ ખરાબ સંભવિત યુદ્ધ ચાલી રહ્યું હતું.

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની પ્રતિનિધિઓ આવતા અઠવાડિયે વોશિંગ્ટન આવી રહ્યાં છે અને ભારત સાથે અમે સોદો કરવાની ખૂબ નજીક છીએ. જો તેઓ એકબીજા સાથે યુદ્ધમાં કર્યું હોત તો મને તેમની સાથે કોઈ સોદો કરવામાં કોઈ રસ ન હોત.

ટ્રમ્પના દાવા પછી કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી જવાબ માંગ્યો હતો કે તેમણે રાષ્ટ્ર કરતાં વેપારને કેમ પસંદ કર્યો. શું વેપાર રાષ્ટ્ર કરતાં વધુ મહત્વપૂર્ણ છે? યુદ્ધવિરામની શરતો શું છે? ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની દલાલી કરી હોવાનો ટ્રમ્પે 11 વાર દાવો કર્યો છે, પરંતુ મોદીએ એક પણ વાર તેનો ઇનકાર કર્યો નથી. હવે ટ્રમ્પના દાવાના સમર્થનમાં યુએસ સરકારે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામાના રૂપમાં દસ્તાવેજી પુરાવા પણ ઉપલબ્ધ છે.

LEAVE A REPLY