ઇસ્લામના કથિત અપમાન બદલ ઉદયપુરમાં મંગળવાર, 28 જૂને હિન્દુ દરજીની ગળુ કાપીને હત્યા કરનારા મુખ્ય આરોપી ગૌસ મોહંમદ અને રિયાઝ

ઉદયપુરમાં ઇસ્લામના નામે થયેલી કન્હૈયાલાલની ઘાતકી હત્યામાં મોટા આતંકી ષડયંત્રના સંકેત મળી રહ્યાં છે. હત્યારાઓએ ભાગી જવા માટે જે મોટરસાઇકલનો ઉપયોગ કર્યો હતો. તેનો રજિસ્ટ્રેશન નંબર 2611 હતો. આ નંબર 2008ના મુંબઈ ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કરે છે. મુંબઈમાં 26 નવેમ્બરે શ્રેણીબદ્ધ આતંકી હુમલા થયા હતા અને તે 26/11 આતંકી હુમલા તરીકે ઓળખાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે 28 જૂને ઉદયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યા બાદ રિયાઝ અખ્તારી અને ઘૌસ મોહંમદ ફરાર થઈ ગયા હતા. અખ્તારીએ આ મોટરસાઇકલ માટે પોતાની પસંદગીનો નંબર લેવા માટે રૂ.1,000ની ચુકવણી કરી હતી. આ મોટરસાઇકલની ખરીદી માર્ચ 2013માં થઈ હતી. આ હુમલાના થોડા કલાકોમાં રાજસમંદ પોલીસે ભીમ વિસ્તારમાં આરોપીઓની ધરપકડ કરી હતી. ભીમ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું હતું કે આ બાઇકનો રજિસ્ટ્રેશન નં. RJ 27 AS 2611 હતો. આ બાઇક વધુ તપાસ માટે એસઆઇટીને સોંપવામાં આવી છે. ઉદયપુર આરટીઓ પ્રભુ બામનિયાએ જણાવ્યું હતું કે આ મોટરસાઇકલનું રજિસ્ટ્રેશન રિયાઝ અખ્તારીના નામે છે અને માર્ચ 2013માં આ નંબર મેળવા માટે રૂ.1,000ની ફી ચુકવવામાં આવી હતી.

26 નવેમ્બર 2008ના રોજ દરિયાઇ માર્ગે 10 પાકિસ્તાન આતંકી મુંબઈ આવ્યા હતા. તેમણે કરેલા હુમલામાં 18 સુરક્ષા જવાનો સહિત 166ના મોત થયા હતા. આ હુમલા આરોપી અજમલ કસાબને 21 નવેમ્બર 2012એ ફાંસીએ લટકાવવામાં આવ્યો હતો. બીજી તરફ ઉદયપુરના આઇજી અને એસપી સહિત રાજસ્થાનમાં 32 આઇપીએસ અધિકારીઓના બદલી કરાઈ હતી.