પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે વહેલી સવારે પુરપાટ ઝડપે જતી ટ્રકે અડફેટે લેતા સાત પદયાત્રીઓના મોત થયાં હતાં અને ચાર લોકો ઘાયલ થયા હતાં. લખતર-વિરમગામ હાઇવે પર સવારે લગભગ ૧.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. પદયાત્રીઓનું એક જૂથ રાજકોટથી બહુચરાજીમાં બહુચર માતાના મંદિરેએ પદયાત્રા કરીને જઈ રહ્યું હતું. અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતાં.

લખતર પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ પટેલે જણાવ્યું હતું કે લખતર તાલુકાના ભાસ્કરપારા ગામની સીમમાં બેદરકારીથી ચાલતી ટ્રક શ્રદ્ધાળુઓ પર ચડી ગઈ હતી. છ શ્રદ્ધાળુઓ અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરના ડ્રાઇવરના મોત થયા હતાં. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. યાત્રાળુઓ બહુચરાજીમાં બહુચર માતાના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યાં હતાં અને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે તેમને ટક્કર મારી હતી.

છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં અને એકનું વિરમગામની હોસ્પિટલમાં મોત થયું હતું. અન્ય ચાર લોકોને ઇજાઓ થઈ હતી. કપાસથી ભરેલો ટ્રક રાજકોટથી જઈ રહ્યો હતો. આદિત્ય ઉગાનિયા તરીકે ઓળખાયેલ ટ્રક ડ્રાઈવર અકસ્માત બાદ ભાગી ગયો હતો, પરંતુ બાદમાં તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના.