રશિયાના પાટનગર મોસ્કોના ક્રોકસ સિટી હોલ પર થયેલા આતંકવાદી હુમલામાં 60 લોકોનાં મોત અને 145 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલો શુક્રવારની રાત્રે થયો હતો અને તેની જવાબદારી ISISએ સ્વીકારી હતી. મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 60 લોકોનાં મોત થયાં હતાં.

આરોગ્ય મંત્રાલયના વડા મુરાશ્કોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 145 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે. સેનાના યુનિફોર્મ પહેરેલા ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને બોમ્બ ફેંકીને ફરાર થઇ ગયા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને હુમલાની નિંદા કરી હતી તેમણે કહ્યું હતું કે અમારી સંવેદના પીડિત પરિવારોની સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયન સરકાર અને લોકોના સમર્થનમાં છે.
રશિયન નેશનલ ગાર્ડ ઘટનાસ્થળે પહોંચીને ત્રાસવાદીઓને પકડવા અભિયાન હાથ ધર્યું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ પાંચ હુમલાખોરોમાંથી એક શખ્સને પકડવામાં આવ્યો હતો. રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ હોલમાં 6 હજારથી વધુ લોકો બેસી શકે છે. સૈનિક જેવા પોશાકમાં ઓછામાં ઓછા પાંચ ત્રાસવાદીઓ કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા હતા અને તેમણે ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખીને મોસ્કો એરપોર્ટને બંધ કરવામાં આવ્યું હતું અને ટ્રેનોને પણ અટકાવવામાં આવી હતી. આ ઉપરાંત તકેદારીના પગલારૂપે મોસ્કોમાં પણ જાહેર સ્થળો પર લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. યુએન સિક્યુરિટી કાઉન્સિલે પણ આ હુમલાની નિંદા કરી હતી.

LEAVE A REPLY

16 − four =