ઉત્તરપ્રદેશમાં શુક્રવારે વૃંદાવનના પ્રખ્યાત કેસી ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી યમુના નદીમાં પલટી ખાઈ જતાં ઓછામાં ઓછામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતાં અને 17ને બચાવી લેવામાં આવ્યાં હતાં. ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક વધારો થવાની આશંકા હતી. હોડીમાં મોટાભાગે પંજાબની શ્રદ્ધાળુઓ સવાર હતાં.
હોડી વૃંદાવન અને માન વચ્ચે મુસાફરોને લઈ જઈ રહી હતી. હોડીમાં ક્ષમતા કરતાં વધુ અંદાજે 30 લોકો સવાર હતા. કેસી ઘાટ પાસે નદીમાં બનેલા લોખંડના પેન્ટૂન પુલ સાથે હોડી જોરદાર રીતે અથડાઈ હતી અને સંતુલન ગુમાવતા નદીના ઉંડા પાણીમાં પલટી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં 17 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સી.પી. સિંહે જણાવ્યું હતું કે બચાવ કાર્ય હજુ પણ યુદ્ધના ધોરણે ચાલુ છે. DM સી.પી. સિંહે જણાવ્યું કે, આજે બપોરે અંદાજે 2.45 વાગ્યે યમુના નદીમાં અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. લુધિયાણાથી અંદાજે 30 શ્રદ્ધાળુઓ મથુરા આવ્યા હતા અને તેઓ બે હોડીમાં સવાર થઈને નદીમાં ફરી રહ્યા હતા. કેસી ઘાટ પાસે આમાંથી એક હોડી ડૂબી ગઈ હતી.














