
પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ગામડાઓ તબાહ થઈ ગયા હતાં અને વ્યાપક નુકસાન થયું હતું. આ ભૂકંપને પગલે ઓછામાં ઓછા 620 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 1500 લોકો ઘાયલ થયા હતાં. શોધ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી હતી તથા મૃત્યુ અને ઇજાઓના આંકમાં વધારો થવાની ધારણા છે. નંગહાર પ્રાંતના જલાલાબાદ શહેરની નજીક કુનાર પ્રાંતના અનેક શહેરોમાં વિનાશ વેરાયો હતો.
અમેરિકન જિયોલોજિકલ સરેવના જણાવ્યા મુજબ રાત્રે ૧૧:૪૭ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૬.૦ની હતી અને તેનું કેન્દ્ર બિંદુ નંગહાર પ્રાંતના જલાલાબાદ શહેરથી ૨૭ કિલોમીટર (૧૭ માઇલ) પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. આ ભૂકંપ ફક્ત ૮ કિલોમીટર (૫ માઇલ) ઊંડાઈએ હતો. આવા છીછરા ભૂકંપ સામાન્ય રીતે વધુ નુકસાન પહોંચાતા હોય છે.
કુનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નૂર ગુલ, સોકી, વાતપુર, મનોગી અને ચાપાદરે જિલ્લામાં ઓછામાં ઓછા 250 લોકો માર્યા ગયા હતાં અને 500 અન્ય ઘાયલ થયા હતાં. ત્યાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, અને ઘણા ગામો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. મૃતકો અને ઘાયલોના આંકડા બદલાઈ રહ્યા છે. કુનાર, નંગરહાર અને રાજધાની કાબુલથી તબીબી ટીમો આ વિસ્તારમાં પહોંચી હતી.
પડોશી દેશ પાકિસ્તાન સાથે નજીક હોવાથી અને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ સરહદ ક્રોસિંગ હોવાથી જલાલાબાદ એક ધમધમતું વેપારી શહેર છે. મ્યુનિસિપાલિટી અનુસાર તેની વસ્તી લગભગ 300,000 છે. જોકે તેનો મહાનગર વિસ્તાર ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે. તેની મોટાભાગની ઇમારતો ઓછી ઊંચાઈવાળી છે, જે મોટાભાગે કોંક્રિટ અને ઈંટની બનેલી છે. ઘણા મકાનો નબળા બાંધકામના છે.
અગાઉ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ જોરદાર આફ્ટરશોક્સ આવ્યા હતા. તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે ઓછામાં ઓછા ૪,૦૦૦ લોકો માર્યા ગયા હતા.
