
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા હતાં અને આશરે 250 લોકો ઘાયલ થયા હતાં, એવો તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે વહેલી સવારે દાવો કર્યો હતો. જોકે પાકિસ્તાને અફઘાન સરકારના આ આરોપોને નકારી કાઢતા તેમને નિરાધાર ગણાવીને કહ્યું હતું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.
અફઘાનિસ્તાનના સરકારી પ્રવક્તા હમદુલ્લાહ ફિત્રતે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 9 વાગ્યે ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર હવાઈ હુમલો થયો હતો, જેમાં 2000 બેડની આ હોસ્પિટલનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો હતો. તેમણે આ હુમલાની નિંદા કરી હતી અને પાકિસ્તાન પર હોસ્પિટલ અને નાગરિક સ્થળોને નિશાન બનાવી ભયાનક કૃત્યો કરવાના આરોપ મૂક્યો હતો.
તેમણે X પર લખ્યું હતું કે પાકિસ્તાની સૈન્ય શાસને ફરી એકવાર અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને કાબુલની ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલને નિશાન બનાવી હતી, જેમાં સારવાર લઈ રહેલા દર્દીઓના મોત અને ઇજા થઈ હતાં. અમે આ ગુનાની કડક નિંદા કરીએ છીએ અને આ કૃત્યને માનવતાના વિરુદ્ધનો ગુનો ગણીએ છીએ.
જોકે પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે કહ્યું હતું કે પાકિસ્તાની આર્મીએ ટાર્ગેટેડ હુમલા કર્યા હતા અને તેમાં કાબુલ અને પૂર્વી નંગરહાર પ્રાંતમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. કાબુલના બે સ્થળોએ “ટેક્નિકલ સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયાર સંગ્રહ સુવિધાઓ” નષ્ટ કરવામાં આવી છે. જે અફઘાન તાલિબાન શાસન દ્વારા તેના અનેક આતંકવાદી ગ્રુપોને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાય છે.
બંને દેશો ઘણા લાંબા સમયથી સંઘર્ષ ચાલે છે. બંને દેશોની સરહદ પર ગોળીબારીના બનાવોમાં વધારો થયો છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર સરહદ પર થયેલી અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા અને છેલ્લા કેટલાંક વર્ષોમાં આ સૌથી ભયાનક સંઘર્ષ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે.
ફેબ્રુઆરીના અંતમાં સૌ પ્રથમ પાકિસ્તાનને હવાઇ હુમલા કર્યા હતાં. આ પછી અવારનવર બંને વચ્ચે અથડામણો ચાલુ રહી છે. આ સંઘર્ષેથી ગયા ઓક્ટોબરમાં કતારથી મધ્યસ્થીથી થયેલો યુદ્ધવિરામને પણ ટકી શક્યો નથી.












