એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળેથી રાજેશ પટેલ નામના એક વ્યક્તિને 70 તોલા સોના દાગીના અને રોકડ રકમ મળી હતી. ૧૨ જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટના પછી પ્રથમ પ્રતિભાવ આપનારાઓમાંના એક રાજેશ પટેલ પણ હતાં. તેઓ મૃતદેહો અને ઘણા ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ ગયા પછી તરત જ ઘટનાસ્થળે પાછા ફર્યા હતાં અને કાટમાળમાં શોધખોળ શરૂ કરી હતી.
૫૭ વર્ષીય રાજેશ પટેલે જણાવ્યું હતું કે તેમણે દુર્ઘટના સ્થળેથી લગભગ ૭૦ તોલા સોનાના ઘરેણાં, જે પીડિતોના પરિવાર માટે અમૂલ્ય હશે, ૫૦,૦૦૦ રૂપિયા અને થોડા યુએસ ડોલર એકઠા કર્યા અને તેમને પોલીસને આપી દીધાં હતાં. બળેલી અને વેરવિખેર પડેલી ૧૦ થી ૧૫ હેન્ડબેગમાંથી અમને ૭૦ તોલા સોનાના દાગીના, ૮ થી ૧૦ ચાંદીના વાસણો, થોડા પાસપોર્ટ, ભગવદ ગીતાની એક નકલ, ૫૦,૦૦૦ રૂપિયા રોકડા અને ૨૦ ડોલર મળી આવ્યા હતાં. અમે તેમને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહેલા પોલીસ અધિકારીને સોંપી દીધાહતાં.
અગાઉ ફોટોગ્રાફર તરીકે કામ કરતા રાજેશ પટેલે 2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વયંસેવા આપી હતી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની અંદર થયેલા એક વિસ્ફોટમાં તેમણે તેમના બે નજીકના મિત્રો ગુમાવ્યા હતાં.
