REUTERS/Almaas Masood/File Photo

ભારતની અગ્રણી એરલાઇન- એર ઇન્ડિયા દ્વારા સોમવારે આઇસલેન્ડએર સાથે નવી કોડશેર ભાગીદારી અને એર મોરિશિયસ સાથે તેની વર્તમાન કોડશેર ભાગીદારીના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. આ બંને સમજૂતી કરારને નવી દિલ્હીમાં 81મી IATAની એન્યુઅલ જનરલ મીટિંગ દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી. આઇસલેન્ડની મોખરાની એરલાઇન સાથેની નવી ભાગીદારી ભારત અને આઇસલેન્ડ વચ્ચે કનેક્ટિવિટીને નોંધપાત્ર રીતે વધારશે, જ્યારે ભારત અને યુરોપના 15 રૂટ પર અનુકૂળ મુસાફરી વિકલ્પો આપશે. જ્યારે મોરિશિયસની રાષ્ટ્રીય એરલાઇન સાથે નવી સમજૂતી એર ઇન્ડિયા સાથેની વર્તમાન ભાગીદારી આધારિત છે. નવી સમજૂતી અંતર્ગત એર ઇન્ડિયા અને એર મોરિશિયસ ભારત, મોરિશિયસ, રીયુનિયન, સાઉથ આફ્રિકા અને મડાગાસ્કર વચ્ચેના કુલ 17 રૂટ પર તેમના કોડનું આદાન-પ્રદાન કરશે, જેના કારણે મુસાફરો તેમના અંતિમ સ્થાન સુધી સામાન ચેક કરીને એક જ ટિકિટ પર સરળતાથી મુસાફરી કરી શકશે.

એર ઇન્ડિયા અને આઇસલેન્ડ એર કરાર હેઠળ અંતર્ગત એર ઇન્ડિયાના મુસાફરોને એર ઇન્ડિયાના યુરોપિયન ગેટવે દ્વારા રેયકજાવિક (KEF) સુધીની આઇસલેન્ડ એર સંચાલિત ફ્લાઇટ્સની અનુકૂળ સુવિધા મળશે. એર ઇન્ડિયા રેયકજાવિક અને લંડન હીથ્રો, લંડન ગેટવિક, ફ્રેન્કફર્ટ, પેરિસ, એમ્સ્ટરડેમ, કોપનહેગન, મિલાન અને ઝુરિચ વચ્ચેની આઇસલેન્ડ એર સંચાલિત ફ્લાઇટ્સમાં તેનો ‘AI’ ડેઝિગ્નેટર કોડ લાગુ કરશે.

જ્યારે આઇસલેન્ડ એરના મુસાફરોને મુખ્ય ભારતીય શહેરો માટે એર ઇન્ડિયા સંચાલિત ફ્લાઇટ્સમાં સુવિધાયુક્ત કનેક્શનનો લાભ મળશે. આઇસલેન્ડ એર દિલ્હી અને એમ્સ્ટરડેમ, પેરિસ, કોપનહેગન, ફ્રેન્કફર્ટ, લંડન હીથ્રો વચ્ચે અને મુંબઈ અને ફ્રેન્કફર્ટ, લંડન હીથ્રો વચ્ચે એર ઇન્ડિયા સંચાલિત ફ્લાઇટ્સમાં તેનો ‘FI’ ડેઝિગ્નેટર કોડ લાગુ કરશે. આ માટે એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર કેમ્પબેલ વિલ્સન અને એર મોરેશિયસના ચેરમેન કિશોર બીગૂની હાજરીમાં કોડશેર વિસ્તરણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કોડશેર ભાગીદારીને આગળ વધારતા એર ઇન્ડિયા તેનો ‘AI’ ડેઝિગ્નેટર કોડ એર મોરેશિયસ સાઉથ આફ્રિકામાં કેપટાઉન અને જોહાનીસબર્ગ અને મડાગાસ્કરમાં એન્ટાનાનારીવો આવતી-જતી ફ્લાઇટ્સમાં લાગુ કરશે, જેથી એર ઇન્ડિયાના મુસાફરો મોરેશિયસ થઈને આ શહેરોમાં તેમના અંતિમ સ્થાન સુધી સામાન ચેક કરીને એક જ ટિકિટ પર સરળતાથી મુસાફરી કરી શકશે. એર ઇન્ડિયા અગાઉથી જ મોરેશિયસ અને મુંબઈ, દિલ્હી અને રીયુનિયન વચ્ચેની એર મોરેશિયસ ફ્લાઇટ્સમાં કોડશેર કરવાની નીતિ ધરાવે છે.

એર મોરેશિયસ વર્તમાનમાં મુંબઈ અને દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, કોલકાતા, ગોવા, દિલ્હી અને બેંગલુરુ, ચેન્નાઈ વચ્ચેની એર ઇન્ડિયા ફ્લાઇટ્સમાં તેનો ‘MK’ ડેઝિગ્નેટર કોડ લાગુ કર્યો છે. હવે વિસ્તરણના ભાગરૂપે, એર મોરેશિયસ તેનો ‘MK’ ડેઝિગ્નેટર કોડ મોરેશિયસ અને મુંબઈ વચ્ચેની એર ઇન્ડિયા ફ્લાઇટ્સમાં લાગુ કરશે.
આમ, બંને દેશો વચ્ચે એર ઇન્ડિયા અને એર મોરેશિયસ દ્વારા સંચાલિત તમામ ફ્લાઇટ્સમાં એકબીજાના ડેઝિગ્નેટર કોડ્સ લાગુ પડશે, જેના કારણે બંને એરલાઇન્સના મુસાફરોને વધુ ફ્લાઇટ્સ વિકલ્પો ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY