ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો 20 જૂનથી ઇંગ્લેન્ડમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ સીરિઝ સાથે બંને દેશો વચ્ચેની રમાનારી આગામી તમામ ટુર્નામેન્ટ બંને દેશના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામે રમાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે પહોંચી છે અને આ સીરિઝ દરમિયાન તેંડુલકર-એન્ડરસન ટ્રોફીનું અનાવરણ થશે. આ સિરીઝનો 20 જૂનથી લીડ્ઝના હેડિંગ્લે ખાતે પ્રારંભ થશે. જોકે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યુકેમાં રમાતી સીરિઝ પટૌડી ટ્રોફીના નામે ઓળખાતી હતી. ભારતના ભૂતપૂર્વ સુકાનીઓ ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને મનસુર અલી ખાન પટૌડીની યાદમાં આ ટ્રોફી રમાતી હતી. માર્ચ 2025માં ઇસીબીએ ભારતમાં પટૌડી પરિવારને એક પત્ર લખીને જાણ કરી હતી કે તેઓ હવેથી આ ટ્રોફી પરત ખેંચી લેવા ઇચ્છે છે. ગત સીઝનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા 42 વર્ષીય જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડના બોલિંગ કોચની ભૂમિકા ભજવી હતી અને વર્તમાન સીઝનમાં તે લેંકશાયર કાઉન્ટી માટે રમે છે. તેણે તાજેતરમાં જ આ કાઉન્ટી સાથેના પોતાના કરાર લંબાવ્યા હતા.
સચિન તેંડુલકર અને જીમી એન્ડરસન 14 ટેસ્ટમાં આમનેસામને થયા હતા જેમાં એન્ડરસને ભારતીય બેટસમેનને નવ વખત આઉટ કર્યો હતો. વિશ્વનો કોઈ બોલર સચિનને આટલી વાર આઉટ કરી શક્યો નથી. અત્યારે આ ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે છે. તેમણે 2021-22માં કોવિડ દરમિયાન યોજાયેલી સિરીઝ વખતે આ ટ્રોફી જાળવી રાખી હતી. એ વખતે સિરીઝ 2-2થી ડ્રો રહી હતી.

LEAVE A REPLY