ભારતીય દર્શકો મનોરંજન મેળવવા માટે ટેલીવિઝનનો ભરપૂર ઉપયોગ કરે છે. ટેલિવિઝનમાં દર્શાવાતા વિવિધ પ્રોગ્રામ્સ અને સીરિયલોના કારણે તેના કલાકારો ઘરે ઘરે જાણીતા બની જાય છે. આવી રીતે અનેક કલાકારોએ કારકિર્દીમાં સફળતા મેળવી છે. જોકે, અહીં કેટલીક એવી ટેલિવિઝનની અભિનેત્રીઓની ચર્ચા કરવામાં આવી છે જેમણે કારકિર્દીમાં શિખરે પહોંચ્યા પછી અભિનયને અલવિદા કહી દીધું હોય અને બીજા વિકલ્પોમાં કામ કરવાનું પસંદ કર્યું હોય અથવા સંસારમાં સ્થાયી થયા હોય.
આશ્કા ગોરડિયા
આશકા ગોરડિયા ટેલિવિઝન દુનિયાનું ખૂબ જાણીતું નામ છે, પરંતુ તેણે અભિનયને અલવિદા કરવાનો પોતાનો નિર્ણય જણાવીને દર્શકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. તેણે પોતાનું ધ્યાન અભિનયથી હટાવીને યોગ અને પોતાના કોસ્ટમેટિક્સ બિઝનેસ પર આપવાનો નિર્ણય લીધો હતો. તેની આજે કુલ નેટવર્થ રૂ. 1300 કરોડથી પણ પણ હોવાનું કહેવાય છે.
દિશા વકાણી
મૂળ અમદાવાદની દિશા વાકાણી જાણીતી સીરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા..માં દયાની ભૂમિકા ભજવીને દેશ-વિદેશમાં લોકપ્રિય થઇ ગઇ હતી. તેણે 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને એ પછી શોમાં પરત આવી નથી. તેના શોમાં પરત આવવાની અનેકવાર અફવા ઊડી હતી પરંતુ તે સાચી સાબિત થઇ નહોતી. આ શોના દર્શકો અને તેના નિર્માતા પણ ઇચ્છે છે કે, દિશા વાકાણી ફરીથી દયાની ભૂમિકા ભજવે
અંજુમ ફારુકી
અંજુમ ફારુકી બાલિકા વધૂ સીરિયલમાં ગૌરીના પાત્રથી જાણીતી થઇ હતી. પરંતુ 2013માં સાકિબ સૈયદ સાથે લગ્ન કર્યા પછી તેણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને અત્યારે પોતાના સંસારમાં વ્યસ્ત હોવાનું કહેવાય છે. તે સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે અને તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સતત પોસ્ટ મુકતી રહે છે. તેના પતિ મર્ચન્ટ નેવીમાં છે.
દીપિકા કક્કડ
દીપિકા કક્કડ કોઇપણ કારણ આપ્યા વગક કે પછી અધિકૃત જાહેરાત કર્યા વિના ટેલિવિઝનની દુનિયાથી દૂર થઇ ગઇ હતી. તે કોઇ પણ શોનો હિસ્સો હોતી નથી.
જોકે, દીપિકા અત્યારે લિવરના સ્ટેજ 2 કેન્સરની સારવાર લઇ રહી છે. થોડા દિવસ પહેલા જ તેના પર એક મોટી સર્જરી કરવામાં આવી હતી. તેના પતિ શોએબ ઇબ્રાહિમે ઇન્સ્ટાગ્રામ પર બધાને પ્રાર્થના કરવા વિનંતી કરી હતી.
અનધા ભોંસલે
અનધા ભોંસલે જાણીતી અનુપમા સીરિયલમાં નંદિનીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઇ હતી. જોકે, તેણે અચાનક જ આ શો છોડવાનો નિર્ણય લઇને લોકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી ભગવાન કૃષ્ણની બહુ મોટી ભક્ત હોવાથી તેણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે ભગવાન કૃષ્ણને સમર્પિત કરવાનો નિર્ણય લઇને અદાકારીની દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે ઈસ્કોન સાથે જોડાઈ ગઈ છે અને લોકોને કૃષ્ણ ભક્તિ વિશે જાગૃત કરી રહી છે.
સોનિયા બંસલ
સલમાન ખાનના બહુચર્ચિત શો- બિગ બોસ-17થી જાણીતી થયેલી સોનિયા બંસલે ટેલિવિઝન ક્ષેત્રથી સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. તે આત્મ-ખોજ, શાંતિ અને હેતુલક્ષી માર્ગ પર જવા ઇચ્છતી હોવાથી તેણે આ ક્ષેત્રમાં સંન્યાસ લઇ લીધો હતો. તેણે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે ઝી મ્યુઝિક, ટી-સીરિઝ અને વિનસ ગ્રુપ માટે મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું હતું.
મોહેના કુમારી
મોહેના કુમારી જે મોહેના કુમારી સિંહ તરીકે પણ જાણીતી છે. તે ડાન્સના રીયાલિટી શો- ડાન્સ ઇન્ડિયા ડાન્સનો હિસ્સો બન્યા પછી જાણીતી થઇ હતી. તેના પ્રથમ ઓડિશનનો વિડીયો વાયરલ થયો ત્યારે તેણે લોકોને જણાવ્યું હતું કે તે રીવાની રાજકુમારી છે. તે નૃત્યાંગના, કોરિયોગ્રાફર અને યુટ્યૂબર પણ છે.
તેણે ટેલિવિઝન સીરિયલ રિસ્તા ક્યા કહેલાતા હૈ..માં કામ કર્યું હતું. 2019માં લગ્ન કર્યા પછી તેણે આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
અદિતિ મલિક
અદિતિ મલિક ઘણા શોનો હિસ્સો બની હતી. પરંતુ તેણે થોડા વરસો પહેલા રેસ્ટોરાં માલિક બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મનોરંજનની દુનિયાને અલવિદા કહી દીધું હતું. અદિતે મલિકે શરારતમાં મીતા અને કહાની ઘર ઘર કીમાં સોનુની ભૂમિકા ભજવીને જાણીતી બની હતી. તેણે 2000ના દસકાની શરૂઆતમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાજશ્રી ઠાકુર
રાજશ્રી ઠાકુર સાત ફેરે: સલોની કા સફર સીરિયલ દ્વારા ઘરેઘરે જાણીતી બની ગઇ હતી. 2015માં તેણે સીરિયલમાં કામ કરવાનું છોડી દીધું હતું અને 2017માં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો. સાત ફેરે – સલોની કા સફર સીરિયલ ઝી ટીવી પર 2005થી 2009 દરમિયાન પ્રસારિત કરવામાં આવી હતી. તેની વાર્તા સલોની પર કેન્દ્રિત હતી, જે શ્વેત હોવાના કારણે સામાજિક ભેદભાવનો સામનો કરે છે. આ સીરિયલમાં શરદ કેલકરે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પૂનમ નરુલા
પૂનમ નરુલા એકતા કપૂરની કસૌટી જિંદગી કી અને કહાની ઘરઘર કી શો તેમજ શરારત જેવી અન્ય સીરિયલોમાં જોવા મળી હતી. 2005માં તેણે નચ બલિયે 1માં ભાગ લીધો હતો અને ફર્સ્ટ રનર અપ બની હતી. જોકે 2010 પછી તેણે અભિનય કરવાનું બંધ કર્યું હતું. તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના મુજબ તે અત્યારે વેડિંગ પ્લાનર તરીકે કાર્યરત છે.
શ્વેતા સાલ્વે
હિપ હિપ હૂર્રે, લેફ્ટ રાઇટ લેફ્ટ સહિતની અનેક સીરિયલોમાં કામ કરી ચૂકેલી શ્વેતા મનોરંજનની દુનિયા છોડીને તેના પતિ સાથે ગોવામાં રેસ્ટોરાંનું સંચાલન કરે છે.
શ્વેતા સાલ્વે અભિનેત્રીની સાથે સાથે મોડેલ તરીકે પણ કામ કર્યું હતું. તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 1ની પ્રથમ રનર-અપ તરીકે જાણીતી છે.
શ્વેતાએ એપ્રિલ 2012માં તેના લાંબા સમયથી પ્રેમી રહેલા હેમંત સેઠી સાથે લગ્ન કર્યાં હતાં.
સૌમ્યા શેઠ
સૌમ્યા શેઠે નવ્યા: નઇ ધડકન નયે સવાલ સહિતની ઘણી સીરિયલોમાં અભિનય કર્યો હતો. લગ્ન કર્યા પછી તે અમેરિકામાં પતિ સાથે સ્થાયી થઇ ગઇ છે.
આ ઉપરાંત તેણે ચક્રવર્તી અશોક સમ્રાટમાં કૌરવકીની ભૂમિકા ભજવી હતી. તેણે વી ધ સિરિયલ અને દિલ કી નજર સે ખૂબસૂરત જેવા શોમાં કામ કર્યું હતું. તેણે બે વખત લગ્ન કર્યા હતા.
