Image Source: Family Handout

અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ લોકોમાં ગ્લોસ્ટરશાયરના અકીલ નાનાબાવા (ઉ.વ. 36), તેમની પત્ની હાન્ના વોરાજી (ઉ.વ. 30) અને ચાર વર્ષની પુત્રી સારા નો સમાવેશ થાય છે. બકરી ઈદની ઉજવણી માટે ગયા શુક્રવારે સુરત આવેલા નાનાબાવા પરિવારના સદસ્યો મૂળ સુરતના રામપુરાના હોવાનું કહેવાય છે. તેમને ગ્લોસ્ટર મુસ્લિમ સમુદાય દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

સુરતના રામપુરા વિસ્તારમાં આવેલી મનારેસિડેન્સી ખાતે રહેતા અકિલના પિતા અબ્દુલા નાનાબાવા સાથે પરિવારે બકરી ઈદ ઉજવી હતી અને લંડન પરત ફરવા અમદાવાદથી ફ્લાઇટ પકડી હતી.

સોશિયલ મીડિયા પર નાનાબાવા પરિવારને શ્રદ્ધાંજલિ આપતા, ગ્લોસ્ટર મુસ્લિમ કોમ્યુનિટીના પેજ પર લખવામાં આવ્યું હતું કે “ભાઈ અકીલ નાનાબાવા, તેમની પત્ની હન્ના અને તેમની પ્રિય પુત્રી સારાના અવસાનના દુ:ખદ સમાચાર મળતાં નાનાબાવા પરિવાર પ્રત્યે નિષ્ઠાવાન અને ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે વિનંતી કરીએ છીએ કે આ દુઃખના સમયમાં પરિવારની ઇચ્છાઓનો આદર કરવામાં આવે. જે લોકો શોક વ્યક્ત કરવા માંગે છે તેઓ કૃપા કરીને પરિવારને થોડો સમય આપો. કૃપા કરીને મૃત્યુ પામેલા લોકો માટે પ્રાછના કરો. આમીન”

માનવામાં આવે છે કે વેલ્સના ન્યુપોર્ટમાં ઉછરેલા નાનાબાવા તેમના પરિવાર સાથે ગ્લોસ્ટરશાયરમાં રહે છે અને અકીલ તથા હાન્ના ગ્લોસ્ટર અને અમદાવાદમાં ઓફિસો સાથે સફળ વૈશ્વિક રીક્રુટમેન્ટ બિઝનેસ ચલાવતા હતા. તેમની ગણના ઇન્ફ્લુએન્સર તરીકે થતી હતી અને પાંચ દિવસના કૌટુંબિક પ્રવાસ બાદ તેઓ પરત થતા હતા.

તેમના મિત્ર અને બિઝનેસ ભાગીદાર શોયેબ ખાન નાગોરીએ કહ્યું હતું કે “મેં ગઈકાલે રાત્રે તેમની સાથે ડીનર કર્યું હતું. તેમનો પરિવાર  સુંદર હતો અને અકીલ તથા તેની પત્ની અત્યંત સફળ લોકો હતા. તેઓ અહીં કૌટુંબિક તહેવાર ઉજવવા અને અકીલના પિતા સાથે થોડો સમય વિતાવવા આવ્યા હતા. અકીલ ખરેખર સારો માણસ હતો, હું આઘાતમાં છું.’’

પરિવારને ટેકો આપતા  સમુદાયના નેતાએ કહ્યું હતું કે, ”આ મુશ્કેલ સમયમાં, અમે દરેકને અનુમાન લગાવવાનું અથવા અપ્રમાણિત માહિતી શેર કરવાનું ટાળવા વિનંતી કરીએ છીએ. પરિવાર પહેલાથી જ ઘણું સહન કરી રહ્યો છે અને તેમને જગ્યા અને ગોપનીયતાની જરૂર છે.”

સેરાની પ્રાથમિક શાળાના હેડ ટીચર અને મસ્જિદ એ ઉમરના ઇમામ અબ્દુલ્લા સમદે પરિવારને શ્રદ્ધાંજલિ આપતા બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ‘’પરિવાર ભારતની સરપ્રાઇઝ યાત્રા પર હતો અને તેમની મુલાકાતની વિગતો શેર કરી ન હતી. અમારી પ્રાર્થનાઓ સતત ચાલુ છે. પરિણીત યુગલ તેમના ચેરિટી કાર્ય અને ઉદારતા માટે જાણીતું હતું અને તેમણે ઘણા લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો અને ઘણા લોકો તેમની ખોટ અનુભવશે. તેમણે ગાઝામાં માનવતાવાદી પ્રયાસો અને ભારતમાં ગરીબ વ્યક્તિઓ માટે તબીબી સંભાળ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી. જે સમુદાય પ્રત્યેની તેમની સેવાનો એક ભાગ હતો.”

ગ્લોસ્ટરશાયર મુસ્લિમ બિરીવેમેન્ટ કાઉન્સિલ (GMBC)ના પ્રવકતાએ કહ્યું હતું કે “આ વિનાશક નુકસાનથી ખૂબ જ હૃદયભંગ થયો છે. ભારે દુ:ખની આ ક્ષણ દરમિયાન શબ્દો આટલા ઊંડા નુકસાનના દુ:ખને હળવું કરી શકતા નથી, પરંતુ અમે પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વભરના સમુદાયો તરફથી કરુણા અને એકતાના પ્રચંડ પ્રવાહમાં પરિવારને સાંત્વના મળે.’’

(Picture: Family Handout)

LEAVE A REPLY