વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પરિવારના સભ્યોને મળ્યા હતા અને તેમના સાંત્વના આપી હતી. મોદીએ રુપાણીને એક નમ્ર અને મહેનતુ નેતા ગણાવ્યાં હતાં. પીએમ એરપોર્ટ નજીક ગુજસેલ બિલ્ડિંગમાં પૂર્વ મુખ્યમંત્રીના પત્ની અંજલિ રૂપાણી અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા હતાં.
મોદીએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીજીના પરિવારને મળ્યો. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ અકલ્પનીય છે. હું તેમને દાયકાઓથી ઓળખું છું. અમે ખભે ખભા મિલાવીને કામ કર્યું, જેમાં કેટલાક સૌથી પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે. વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતાં, પક્ષની વિચારધારા પ્રત્યે દ્રઢપણે પ્રતિબદ્ધ હતાં. તેમણે પક્ષના સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ખંતપૂર્વક સેવા કરી હતી.
