એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ AI171 વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને મંગવારે સુપરત કર્યો હતો. જોકે આ રીપોર્ટના તારણો હજુ જાહેર કરાયા નથી. અહેવાલ તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે.
12 જૂનના રોજ, લંડન જતું એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનના મુસાફરો અને ક્રુ મેમ્બર સહિત 241 લોકોના મોત થયા હતાં.
વિમાનના બ્લેક બોક્સ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) અનુક્રમે 13 જૂને અને 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ રીપોર્ટમાં વિમાન ક્રેશના સંભવિત કારણોનો પણ સમાવેશ થશે. રિપોર્ટમાં બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન, ક્રૂ, અમદાવાદ એરપોર્ટ પરની સ્થિતિ અને 12 જૂનના રોજ હવામાન વિશે વિગતો શામેલ હશે.
કાટમાળ વિશેની વિગતો પણ રિપોર્ટનો ભાગ હશે, તેમજ ઇન્ચાર્જ તપાસકર્તાનું નામ પણ હશે. આ રીપોર્ટમાં તપાસની પ્રગતિનો ચાર્ટ હશે, ભાવિ પગલાંની રૂપરેખા આપશે અને વધુ તપાસની જરૂર હોય તેવા ક્ષેત્રોને પ્રકાશિત કરશે.
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ની માર્ગદર્શિકા મુજબ, ભારતે ક્રેશ થયાના 30 દિવસમાં પ્રારંભિક અહેવાલ ફાઇલ કરવો જરૂરી છે.
અગાઉ નાગરિક ઉડ્ડયન પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે ક્રેશમાં તોડફોડ સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ તેની સંપૂર્ણ તપાસ ચાલુ કરી છે. આ તમામ તમામ એન્ગલનો સમાવેશ કરાશે. જેમાં કોઈપણ સંભવિત તોડફોડનો પણ સમાવેશ થાય છે. CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તમામ એન્ગલનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે… ઘણી એજન્સીઓ તેના પર કામ કરી રહી છે
