FILE PHOTO REUTERS/Bhawika Chhabra

ટાટા ગ્રુપની કંપની એર ઇન્ડિયાએ અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા પ્લેન ક્રેશ બંધ કરેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પહેલી ઓગસ્ટથી તબક્કાવાર ધોરણે ફરી ચાલુ કરવાની 15 જુલાઇએ જાહેરાત કરી હતી. એર ઈન્ડિયાએ તેના બોઈંગ 787 એરક્રાફ્ટનું પ્રીકોશનરી ઈન્સ્પેક્શન કરવા તથા કેટલાક રિજનલ એરસ્પેસ બંધ હોવાના કારણે ઘણી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઘટાડી દીધી હતી અને ઘણીને સસ્પેન્ડ કરી દીધી હતી.

જોકે એરલાઈને મંગળવારે જાહેરાત કરી હતી કે તે પહેલી ઓગસ્ટથી તેની કેટલીક સર્વિસ ફરીથી શરૂ કરશે અને પહેલી ઓક્ટોબર સુધીમાં તમામ ફ્લાઈટ્સ અગાઉની જેમ શરૂ કરવાની અપેક્ષા રાખે છે.

જે રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં દિલ્હીથી લંડન (હિથ્રો)ની 24 વીકલી ફ્લાઈટ્સ 16 જુલાઈથી રિસ્ટોર કરવામાં આવી છે. જ્યારે દિલ્હી-ઝ્યુરિકની ફ્લાઈટ પહેલી ઓગસ્ટથી શરૂ થશે અને તેમાં ચારના બદલે પાંચ ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. દિલ્હી-ટોક્યો (હાનેડા) અને દિલ્હી-સિઓલ (ઈંચિયોન) રૂટ પર અનુક્રમે ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધીમાં વીકલી ફ્રિક્વન્સી રિસ્ટોર કરવામાં આવશે. જ્યારે દિલ્હી-એમ્સ્ટર્ડેમ પહેલી ઓગસ્ટથી સપ્તાહમાં સાત ફ્લાઈટ્સ ફરીથી શરૂ થશે.

અમદાવાદ અને લંડન (હિથ્રો)નો એક નવો રૂટ સપ્તાહમાં ત્રણ વખત ઓપરેટ કરાશે અને તે હાલના સપ્તાહના પાંચ વખતની ગેટવિક સર્વિસને રિપ્લેસ કરશે. જ્યારે 31 ઓગસ્ટ સુધી દિલ્હી-નૈરોબી સર્વિસ સપ્તાહમાં ત્રણ વખત ઓપરેટ કરાશે, અને 1થી 30 સપ્ટેમ્બર દરમિયાન તેને સસ્પેન્ડ કરવામાં આવશે.

એર ઈન્ડિયાએ અમેરિકા અને કેનેડાની ફ્લાઈટ્સમાં ઘટાડો યથાવત રાખ્યો છે. વોશિંગ્ટન, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક (JFK અને નેવાર્ક) જેવા નોર્થ અમેરિકન ડેસ્ટિનેશન અને ટોરંટો તથા વેનકુવરની ફ્લાઈટ્સમાં ઘટાડો ચાલુ રાખવામાં આવ્યો છે જેમાં સપ્તાહમાં ત્રણથી સાત ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે. દિલ્હી-મેલબોર્ન અને દિલ્હી-સિડનીની ફ્લાઈટ્સ સપ્તાહમાં પાંચ વખત ઓપરેટ કરાશે. જ્યારે અમૃતસર-લંડન (ગેટવિક), ગોવા-લંડન (ગેટવિક), બેંગલુરૂ-સિંગાપોર અને પુણે-સિંગાપોર એમ ચાર ઈન્ટરનેશનલ રૂટ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

એર ઈન્ડિયાએ પોતાના એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, સેફ્ટી પોઝના ભાગ રૂપે શિડ્યુલમાં 31 જુલાઈ 2025 સુધી ઘટાડો કરવામાં આવ્યો હતો, અને સંપૂર્ણ કામગીરી તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. શરૂઆતમાં 01 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર દરમિયાન જે સર્વિસને શરૂ કરવાની યોજના હતી તેને શેડ્યુલમાંથી દૂર કરવામાં આવશે. આ અંગે એર ઈન્ડિયા અસરગ્રસ્ત પેસેન્જર્સનો સંપર્ક કરી રહી છે, જેથી તે વૈકલ્પિક ફ્લાઈટ્સ માટે ફરીથી બૂકિંગ કરી શકે, અથવા તો તેમને સંપૂર્ણ રિફંડ આપી મેળવી શકે છે. સર્વિસમાં ટેમ્પરરી કાપ મૂક્યો હોવા છતાં એર ઈન્ડિયા તેના રિસ્ટોરેશન પીરિયડ દરમિયાન દર અઠવાડિયે 525થી વધુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.

LEAVE A REPLY