એક્ઝિઓમ મિશનના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલા અવકાશયાત્રી શુભાંશું શુક્લા રવિવાર 16 ઓગસ્ટની રાત્રે દિલ્હી આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા, કેન્દ્રીય રાજ્ય પ્રધાન જીતેન્દ્ર સિંહ, ઈસરોના વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. શુભાંશુ વડાપ્રધાન મોદીને પણ મળશે અને પોતાના હોમટાઉન લખનઉ જશે.
શુભાંશુ શુક્લા એક્ઝિઓમ 4 મિશનના પાઇલટ હતા, જે 25 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ રીતે, 41 વર્ષ પછી કોઈ ભારતીયએ અંતરિક્ષની ઉડાન ભરી છે. શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા હતાં
શુભાંશુએ ખાસ કરીને ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાત મહત્ત્વના પ્રયોગો પર કામ કર્યું હતું. આ પ્રયોગોમાં અંતરિક્ષમાં ચણા અને મેથીના બીજ ઉગાડવા, અંતરિક્ષની શરીર પર થતી અસરનો અભ્યાસ, માંસપેશીઓની નબળાઈ અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ જેવા ખૂબ જ મહત્ત્વના વિષયોનો સમાવેશ થાય છે. આ પ્રયોગો માત્ર ભારતના વૈજ્ઞાનિક સંશોધનને નવી દિશા આપશે એટલું જ નહીં, પણ ભવિષ્યમાં અંતરિક્ષમાં ખેતી, મનુષ્યના સ્વાસ્થ્ય અને ટેકનોલોજીના વિકાસના ક્ષેત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપશે.
