ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શુક્રવાર, 5 ડિસેમ્બરે 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરતા દેશભરના એરપોર્ટમાં સતત ચોથા દિવસે ભારે અરાજકતા ફેલાઈ હતી. નવી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિતના મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો કલાકો સુધી અટવાઈ ગયા હતાં અને એરપોર્ટ પર બેગેજનો ખડકલો જોવા મળ્યો હતો. પાયલટની અને અન્ય ક્રુ મેમ્બરની નોકરીના કલાક મર્યાદિત કરતાં નવા નિયમો મુજબ તેના સ્ટાફની વ્યવસ્થા ન કરી શકતા સ્ટાફની અછતને કારણે આ સમગ્ર કટોકટી ઊભી થઈ હતી.
ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે 10-15 ડિસેમ્બર સુઘી સ્થિતિ રાબેતા મુજબની ધારણા છે. દુઃખની બાબત એ છે કે છેલ્લા કેટલાંક દિવસોમાં અગાઉ લેવામાં આવેલા પગલાં પૂરતા સાબિત થયા નથી. તેથી અમે આજે અમારી બધી સિસ્ટમો અને સમયપત્રકને રીબૂટ કરવાનો નિર્ણય કર્યો હતો. તેના પરિણામે અત્યાર સુધીની સૌથી વધુ 1,000 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. નવા પગલાંની સાથે અમને આવતીકાલે 1,000થી ઓછી રદ થવાની અપેક્ષા છે. નવા નિયમોના અમલમાં DGCAએ રાહત આપી છે, જે કંપની માટે ખૂબ મદદરૂપ છે.
દેશભરમાં વિમાન મુસાફરી ઠપ બનતા સરકારે તાત્કાલિક નવા નિયમોમાં ઇન્ડિગોને રાહત આપવાની જાહેરાત કરી હતી. જોકે સરકાર પગલાં લે તે પહેલા 4 દિવસમાં 1200થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો રઝળી પડ્યા હતાં અને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
એવિયેશન ક્ષેત્રમાં સર્જાયેલી આ અભૂતપૂર્વ કટોકટીને કારણે લગ્નના રિસેપ્શનથી લઈને નોકરીના ઇન્ટરવ્યુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી રહેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં હતાં અને ભારે રોષ જોવા મળ્યો હતો. વિપક્ષે પણ સરકાર પર હુમલા કર્યાં હતાં અને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મુસાફરોના રોષમાં વધારાને પગલે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પાયલટ્સ માટેના નાઇટ ડ્યૂટીના નવા આકરા નિયમોમાં ઇન્ડિગોને કામચલાઉ મુક્તિ આપી હતી. આનાથી આગામી બેથી ત્રણ દિવસમાં તબક્કાવાર ધોરણે સ્થિતિ રાબેતા મુજબ થવાની ધારણા છે.
નવા નિયમોમાં પાયલટ્સના સાપ્તાહિક આરામના કલાકોને 12 કલાક વધારીને 48 કલાક કરાયા હતાં. આ ઉપરાંત રાત્રિના સમયે લેન્ડિંગને સાપ્તાહિક છથી ઘટાડીને માત્ર બે કરવામાં આવી હતી. ઇન્ડિગોએ મોટા પાયે ફ્લાઇટ રદ કરવા માટે ખોટી ગણતરી અને આયોજન ખામીઓને જવાબદાર ગણાવી હતી.
શુક્રવારે દિલ્હી એરપોર્ટથી ઉપડતી તમામ 235 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. ચેન્નાઇ એરપોર્ટથી પણ ઇન્ડિગોની તમામ ઉપડતી ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ડિગોએ મુંબઈમાં 104, બેંગલુરુમાં 102 અને હૈદરાબાદમાં 82 ફ્લાઇટ્સ રદ કરી હતી.
એરપોર્ટ પર ચાર દિવસની અંધાધૂંધી પછી નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસમાં વિમાન સેવાઓ સંપૂર્ણ પણ પુનઃસ્થાપિત થઈ થવાની આશા છે. વિવિધ સંચાલકીય પગલાંને કારણે આવતીકાલ (શનિવાર) સુધીમાં ફ્લાઇટનું સમયપત્રક સામાન્ય થઈ જશે તેવી અપેક્ષા છે. સરકારે ઇન્ડિગો ફ્લાઇટ વિક્ષેપના કારણો અને જવાબદારી નક્કી કરવા માટે ઉચ્ચ-સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. ઇન્ડિગો સામાન્ય રીતે દરરોજ લગભગ 2,300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.














