સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના પિતા અને મિત્તલ પરિવારના સ્ટીલ સામ્રાજ્યના સ્થાપક મોહન લાલ મિત્તલનું ગુરુવારે, 15 જાન્યુઆરીએ લંડનમાં અવસાન થયું હતું. તેઓ 99 વર્ષનાં હતાં.
લક્ષ્મી એન મિત્તલે જણાવ્યું હતું કે તેમના પ્રિય પિતા ગુરુવારે સાંજે લંડનમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં 99 વર્ષની અતુલ્ય ઉંમરે શાંતિપૂર્ણ રીતે સ્વર્ગવાસી થયાં હતાં. તેઓ 100મા જન્મદિવસ સુધી પહોંચવાથી માત્ર થોડા મહિના જ દૂર હતાં. મારા પિતા એક અસાધારણ વ્યક્તિ હતાં, જેમની મજબૂત ધાર્મિક શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા આખી જિંદગી તેમની સાથે રહી હતી. તેમનો જન્મ રાજસ્થાનના રાજગઢ નામના એક નાના ગામમાં એક પ્રેમાળ અને સાધારણ પરિવારમાં થયો હતો. હંમેશા તેમની પરિસ્થિતિનો શ્રેષ્ઠ ઉપયોગ કરનાર વ્યક્તિ હતાં અને માનતાં હતાં કે સખત મહેનત હંમેશા મીઠા ફળ મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતા એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે મોહનલાલ મિત્તલે ઉદ્યોગ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. આની સાથે તેઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતાં. તેમણે વિવિધ પરોપકારી પ્રયાસોને ટેકો આપ્યો હતો, જે સામાજિક પ્રગતિ માટેના તેમના જુસ્સાને પ્રતિબિંબિત કરે છે. તેમના નિધનથી દુઃખ થયું. હું અમારી વાતચીતને હંમેશા યાદ રાખીશ. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
મોહન લાલ મિત્તલે ૧૯૫૦ના દાયકામાં પરિવારનો સ્ટીલ બિઝનેસ ચાલુ કરીને વિશ્વના સૌથી મોટા સ્ટીલ સામ્રાજ્યોના એક ઔદ્યોગિક સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. ઇસ્ટર્ન આઇના એશિયન રિચ લિસ્ટ ૨૦૨૬ અનુસાર તેમના પુત્ર લક્ષ્મી મિત્તલ હવે વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક આર્સેલરમિત્તલના વડા છે અને પરિવારની સંપત્તિ અંદાજે £૧૫.૫ બિલિયન છે.
૧૯૨૦ના દાયકામાં જન્મેલા મોહન લાલનું શરૂઆતનું જીવન ભારતના ભાગલાને કારણે ઉથલપાથલથી ભરેલું હતું. ૧૯૪૭માં સ્વતંત્રતા પહેલા સાંપ્રદાયિક તણાવ વધતાં પાકિસ્તાનના કરાચીમાં હિન્દુઓ માટે જોખમ હોવાનું સમજીને ૧૭ વર્ષની ઉંમરે તેમણે તેમના પરિવારને ત્યાંથી નીકળી જવા સમજાવ્યાં હતાં. ૧૯૪૫માં તેઓ તેમની માતા અને નાના ભાઈ સાથે કાનપુર ગયાં હતાં.
મર્યાદિત મૂડી સાથે નવી શરૂઆત કરતાં મોહન લાલે કાનપુરમાં એક ઓઇલ મિલ સ્થાપી હતી. જોકે ૧૯૪૪માં પૂરના કારણે આ સાહસનો નાશ થયો હતો અને પરિવારને કોલકાતા સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ત્યાં તેમણે લોખંડના ભંગારનો વ્યવસાય શરૂ કર્યો હતો અને અંતે કોઈ પણ રોકાણ વિના સ્ટીલ રોલિંગ મિલના મેનેજિંગ પાર્ટનર બન્યાં હતાં.
તેમના પુત્ર લક્ષ્મી નિવાસનો જન્મ ૧૫ જૂન ૧૯૫૦ના રોજ રાજસ્થાનના ચુરુ જિલ્લાના સાદુલપુર નામના પરિવારના પૈતૃક ગામ ખાતે થયો હતો. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાના ભારતના લાઇસન્સ-પરમિટ રાજના અવરોધોનો વચ્ચે મોહન લાલે ગણતરીપૂર્વકનું જોખમ લીધું હતું અને ૧૯૭૬માં તેમણે લક્ષ્મી મિત્તલને સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે ઇન્ડોનેશિયા મોકલ્યા હતો, જે નિર્ણય પરિવારના નસીબ માટે પરિવર્તનકારી સાબિત થયો હતો.
૧૯૫૬માં મોહન લાલે વિશાખાપટ્ટનમમાં આંધ્ર સ્ટીલ કોર્પોરેશનની સ્થાપના કરી હતી અને ઘણાં નાના રોલિંગ પ્લાન્ટ સ્થાપ્યા હતાં. તેમણે મિત્તલ એન્ડ સન્સ કંપનીની નોંધણી કરાવી હતી.લક્ષ્મી આખરે તેમના ભાઈ-બહેનોથી અલગ થયા હતાં અને મિત્તલ સ્ટીલની સ્થાપના કરી હતી. 2006 માં આર્સેલર સાથે મર્જ થઈને તે આર્સેલરમિત્તલ બની હતી. તેમની પુત્રી વનિષા હવે સ્ટીલ ઉત્પાદક અપેરામની ચીફ સ્ટ્રેટેજી ઓફિસર છે, જ્યારે તેમનો પુત્ર આદિત્ય આર્સેલરમિત્તલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપે છે.
મોહન લાલના અન્ય સંતાનોમાં પુત્રો પ્રમોદ અને વિનોદ મિત્તલ અને પુત્રી સીમા લોહિયા છે. સીમાના લગ્ન ઇન્ડોનેશિયન ઉદ્યોગપતિ શ્રી પ્રકાશ લોહિયા સાથે થયા છે.













