મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારની રાત્રે બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર પાંચ રાઉન્ડ ગોળીબાર કરાયો હતો. આ ફાયરિંગની ઘટના રાત્રે 12:40થી 1 વાગ્યાની વચ્ચે બની હતી અને તેમાં કોઇને ઇજાના અહેવાલ મળ્યાં નથી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર સમયે રોહિત શેટ્ટી ઘરે જ હતાં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગોળીબારમાં ફક્ત એક જ વ્યક્તિ સામેલ હતો. પોલીસ મળેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી આ વિસ્તારમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.
જુહુ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગુનેગારોને ઓળખવા માટે દરેક સંભવિત એન્ગલથી તપાસ ચાલુ કરી હતી. આ ઘટના અંગે મુંબઈ પોલીસની એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી. પોલીસે અજાણ્ય હુમલાખોરો પર કેસ દાખલ કર્યો હતો. શેટ્ટીના જુહુ ટાવરની આસપાસ ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી.
રોહિત શેટ્ટી ભારતીય ફિલ્મ ઉદ્યોગના એક પ્રખ્યાત દિગ્દર્શક છે. તેઓ ‘ગોલમાલ’ અને ‘સિંઘમ’ જેવી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા છે.
2024માં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની બહાર આવી જ એક ઘટના બની હતી. તે સમયે બે બાઇક સવાર લોકોએ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યા હતાં અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતાં. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે ફેસબુક પોસ્ટમાં ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી અને મહારાષ્ટ્રના પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા માટે પણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.













