પાકિસ્તાન સરકારે સોમવારે (9 ફેબ્રુઆરી) મોડી રાત્રે જાહેરાત કરી હતી કે તેણે દેશની ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડ કપમાં તા. 15મી ભારત સામેની મેચ રમવાની મંજુરી આપી છે. તેની આ જાહેરાતના પગલે કેટલાય દિવસોથી ચાલી રહેલી અટકળો, અનુમાનોનો અંત આવે છે અને ફક્ત ભારત – પાકિસ્તાન જ નહીં, વિશ્વભરના ક્રિકેટ રસિકોને રોમાંચક મુકાબલાનો આનંદ માણવા મળશે.
રવિવારે પાકિસ્તાનમાં આઈસીસી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, બાંગલાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે થયેલી મીટિંગમાં પાકિસ્તાને કેટલીક શરતો આઈસીસી સમક્ષ રજૂ કરી હતી. તેના જવાબમાં આઈસીસીએ કહ્યું હતું કે, તેની શરતો આઈસીસીની હકુમત બહાર છે. નિર્ણય પાકિસ્તાને કરવાનો છે. એ પછી લગભગ 24 કલાકે પાકિસ્તાન સરકારે પોતાનો નિર્ણય બદલ્યાની જાહેરાત કરી હતી.













