ટી-20 વર્લ્ડ કપ 2026ની સૌથી હાઈ પ્રોફાઈલ મેચના વિવાદ ઉપર આખરે પડદો પડી ગયો છે. પાકિસ્તાને આખરે ભારત સામેની મેચનો બહિષ્કાર કર્યાની જાહેરાત પછી પોતાનો નિર્ણય બદલી હવે 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત મેચમાં ભારત સામે રમવાનું કબૂલ્યું છે.
રવિવારે (8 ફેબ્રુઆરી) લાહોરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પદાધિકારીઓ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. એ અગાઉ, શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને બહિષ્કાર પાછો ખેંચવા પત્ર લખ્યો તેમાં બહિષ્કારથી શ્રીલંકાને થનારા સીધા અને જંગી નુકશાનની વાત કરી પોતે પાકિસ્તાનને તેના કપરા સમયમાં કરેલી મદદની યાદ આપી નિર્ણય બદલા અનુરોધ કર્યો હતો. યુએઈ બોર્ડે પણ પાકિસ્તાનને ઘર્ષણનો માર્ગ ત્યજવા સંદેશો આપ્યો હતો, તો બાંગ્લાદેશ બોર્ડે પણ પાકિસ્તાનને બહિષ્કાર પાછો ખેંચી રમવા વિનંતી કરી હતી.
પીસીબીએ આઈસીસી સમક્ષ કેટલીક શરતો મુકી હતી, જેમાં ભારતને પાકિસ્તાન સાથે દ્વિપક્ષી સીરીઝ રમવા સમજાવવા કે ફરજ પાડવા, બન્ને ટીમો રમે ત્યારે ખેલાડીઓએ હાથ મિલાવવા જોઈએ તેની ફરજ પાડવાનો સમાવેશ થતો હતો. જો કે, આઈસીસીએ આ બધી બાબતો પોતાની હકુમતમાં નહીં આવતી હોવાનું કહી તે વાતની બાદબાકી કરી નાખી હતી.
બીજી તરફ બહિષ્કારથી પાકિસ્તાન બોર્ડને પોતાને પણ મોટું નુકશાન વેઠવું પડે તેવી પ્રબળ શક્યતા હતી. એ સંજોગોમાં પીસીબીએ આ મુદ્દે પોતે સરકાર સમક્ષ રજૂઆત કરશે અને સરકારના આદેશ મુજબ નિર્ણય લેશે એવું જણાવ્યું હતું. આઈસીસીએ તેના માટે 24 કલાકની મહેતલ આપ્યાના પણ અહેવાલો હતા. એ મુજબ પાકિસ્તાન સરકારે સોમવારે મોડી રાત્રે જાહેરાત કરી હતી કે તેણે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ રમવા મંજુરી આપી છે.
આ સમગ્ર વિવાદમાં બાંગ્લાદેશને એક મોટી રાહત એ મળી છે કે, વર્લ્ડ કપ નહીં રમવાના તેના નિર્ણય છતાં તેને આઈસીસી કોઈ દંડ નહીં કરે.












