ગુજરાતી સિનેમામાં છેલ્લાં થોડા વર્ષોથી નવા નવા વિષયો આધારિત ફિલ્મોનું નિર્માણ થઇ રહ્યું છે. નવા ફિલ્મકારો નવોદિત કલાકારો સાથે દર્શકોને મનોરંજન સાથે નવા જ સંદેશ આપી રહ્યા છે. ‘બિચારો બેચલર’ પણ એક નવા વિષય સાથેની ફિલ્મ છે. એસ. આર. પટેલ અને રાજુ રાડિયા (જર્સી સિટી) દ્વારા નિર્મિત અને જાણીતા ફિલ્મકાર વિપુલ શર્મા લિખિત-દિગ્દર્શિત આ ફિલ્મમાં એક અપરિણીત યુવાનની વ્યથા-કથા દર્શાવવામાં આવી છે.
મુખ્ય અભિનેતા તુષાર સાધુની સાથે આ ફિલ્મમાં એક સાથે નવ અભિનેત્રી જોવા મળે છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં 28 વર્ષીય યુવક અને તેના પરિવારની ‘પરફેક્ટ પુત્રવધૂ’ શોધવાની મજેદાર, લાગણીશીલ અને સંબંધો સાથે જોડાયેલી સફરને હળવી શૈલીમાં રજૂ કરવામાં આવી છે.
આ ફિલ્મની કહાની મુજબ અનુજ (તુષાર સાધુ) 28 વર્ષનો થઇ ગયો છે, પરંતુ હજી સુધી કુંવારો છે. લગભગ દરરોજ છોકરી જોવે છે પરંતુ તેમ છતાં એનો ‘મેળ’ નથી પડ્યો. તેના માતા-પિતાને (જૈમીની ત્રિવેદી અને પ્રશાંત બારોટ) હવે ચિંતા થવા લાગે છે કે ક્યાંક અનુજ હંમેશા માટે કુંવારો ન રહી જાય. અનુજ પણ પોતાની રીતે પ્રયાસ કરે છે. અનુજ અને તેનાં માતા-પિતા હવે ગુજરાતનાં ગામેગામ છોકરીઓ શોધે છે. મહેસાણા, દ્વારકા, સુરત, પોરબંદર, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પહોંચે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મ અંગે વિપુલ શર્મા કહે છે કે, ‘બિચારો બેચલર’ એ માત્ર હાસ્યથી ભરપૂર ફિલ્મ નથી, પરંતુ દરેક ગુજરાતી પરિવારમાં જોવા મળતી નાનકડી ઘટના અને લાગણીઓને હળવી શૈલીમાં રજૂ કરતો એક મીઠો અનુભવ છે. આ વાર્તા દ્વારા અમે સમાજમાં જોવા મળતી હાસ્યસભર પરિસ્થિતિઓ, પરિવારનો પ્રેમ અને સંબંધોની ગરિમાને સાચી રીતે પકડવાનો પ્રયાસ કર્યો છે.’
આ ફિલ્મના અન્ય કલાકારોમાં જય પંડ્યા, સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર જોવા મળશે. આ સાથે જ અભિનેત્રીઓમાં ટ્વિંકલ પટેલ (કાછડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા ભટ્ટ, ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં કિંજલ દવેના સ્વરમાં ગવાયેલું ગીત ‘છોરો કૈ દા’ડાનું પૈણું પૈણું કરતો તો…’ જાણીતું બન્યું છે.













