ગલ્ફ કટોકટીમાં હજારો લોકોમાં યુકેમાં રહેતા બ્રિટિશ એશિયનો વિવિધ દેશોમાં ફસાયેલા છે અને તેઓ યુકે પરત આવવા માટે પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ મીસાઇલો અને હવાઇ હુમલા સામે ચેતવણી આપતી સાયરનો, સતત અનિશ્ચીતતા અને ફ્લાઇટો કેન્સલ થતા રહેવા માટે થઇ રહેલા હોટેલ્સ – ખાવા પીવાના ખર્ચાએ લોકોની આર્થિક સ્થિતી બદતર કરી દીઘી છે.
યુકેના લગભગ 300,000 નાગરિકો દુબઈમાં નોકરી કે બિઝનેસ માટે રહે છે. તેમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં બ્રિટિશ સાઉથ એશિયનો છે જેઓ તાજેતરના વર્ષોમાં કરમુક્ત વાતાવરણ અને સાંસ્કૃતિક પરિચિતતા દ્વારા આકર્ષાઇને સ્થળાંતરિત થયા છે. કામ-ઘંઘા માટે દુબાઇ ગયેલા કેટલાક હોટલોમાં બંધ બ્રિટિશ વેકેશનર્સે પરિસ્થિતિને “ભયાનક” ગણાવી હતી.
ક્રોયડનમાં રહેતા અને જાણીતા હિન્દુ અગ્રણી શ્રી ચંદ્રકાન્ત શુક્લાએ ‘ગરવી ગુજરાત’ને આપેલી ખાસ ટેલિફોનીક મુલાકાતમાં જણાવ્યુ હતું કે ‘’હું છેલ્લા એક મહિનાથી મારા પત્ની મીરા સાથે મારા દિકરા ડૉ. જયમીન અને તેના પરિવાર સાથે દુબઇ રોકાવા આવ્યો બહતો. અમારી દંપત્તીની ફ્લાઇટ ગત શનિવારે દિલ્હી જનાર હતી. પરંતુ કમનસીબે યુધ્ધ ફાટી નીકળતા અમારી ફ્લાઇટ રદ કરાઇ હતી. જે હવે ગુરૂવારે દિલ્હી જશે. જો કે તે પણ ચોક્કસ કહી શકાય નહિં.’’
શ્રી શુક્લાએ કહ્યું હતુ કે ‘’યુએઇ પર લગભગ 650-700 માસાઇલો કે ડ્રોન વડે હુમલો કરાયો હતો. જેમાંથી મોટાભાગનાને ઇન્ટરસેપ્ટ કરી નષ્ટ કરાયાં હતાં. જો કે એક દુબઇના ટર્મિનલ થ્રી પર પડતા એરપોર્ટ ટર્મિલને નુકશાન થયું હતું. નાગરીક વિસ્તારો કરતા યુએસ એરબેઝ પર હુમલા વધુ થયા હોવાનું કહેવાય છે. હુમલાઓને પગલે દરેકના મોબાઇલ ફોન પર ઓટોમેટિક એલર્ટ મળતા લોકો સાવચેત થયા હતા. જો કે હાલમાં કોઇ નવો હુમલો થયો નથી તેથી સૌને શાંતિ છે. સરકારે હોટેલ માલિકોને કોઇ મુસાફરને નાણાંના અભાવે કાઢી નહિં મૂકવા અને ખાણી-પીણીની તમામ સેવા આપવા કહેતા મુસાફરોને શાંતિ છે.’’
દુબઈમાં રહેતા બ્રિટિશ પ્રવાસી, માનવાધિકાર વકીલ ઇવોન સેમ્પસને જણાવ્યું હતું કે “લોકોને ભય છે કે જો યુદ્ધ લાંબું, ખેંચાયેલું રહેશે, તો આપણે બધા દુબઈમાં અટવાઈ જઈશું.”
ઈન્ડિયન વર્કર્સ એસોસિએશન (ગ્રેટ બ્રિટન)ના જનરલ સેક્રેટરી સીતલ સિંહ ગિલે જણાવ્યું હતું કે ‘’આ કટોકટી નિયમિત મુસાફરી વિક્ષેપથી આગળ વધી ગઈ છે. હજારો બ્રિટિશ નાગરિકો પ્રભાવિત થઈ શકે છે. લોકો સ્પષ્ટ માહિતી વિના ટ્રાન્ઝિટ દેશોમાં ફસાયેલા છે. વૃદ્ધ પ્રવાસીઓ અને નાના બાળકોવાળા પરિવારો સહિત તે સંવેદનશીલ મુસાફરોને ખાસ ધ્યાન આપવાની જરૂર છે.’’
દુબઈ, દોહા, રિયાધ અને કુવૈતથી સંપર્ક કરનાર રહેવાસીઓ અને મુલાકાતીઓએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે કટોકટીના શરૂઆતના દિવસોમાં ગભરાટ વ્યાપક હતો, જે મોટાભાગે સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હતો.
દુબઈ સ્થિત રિયલ એસ્ટેટ પ્રોફેશનલ ફેબિન જોને જણાવ્યું હતું કે, “જમીન પરની પરિસ્થિતિ સોસ્યલ મીડીયા અહેવાલો કરતા ઘણી શાંત છે. અહીંના લોકો તેમના જીવન જીવી રહ્યા છે. વાસ્તવિક સમસ્યા ફ્લાઇટ્સ મેળવવાની છે.”
સોમવારે તા. 2ના રોજ સાંજે યુએઇએ દુબઈથી થોડી સંખ્યામાં ફ્લાઇટ્સ ચલાવી હતી, જેમાં લંડન જતી એક ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે, જોકે 80 ટકાથી વધુ સુનિશ્ચિત ફ્લાઇટ્સ રદ રહી હતી.
યુકેના ઓલ્ડહામ કાઉન્સિલના નેતા આરૂજ શાહે કહ્યું કે ‘’મેં ઓલ્ડહામના એવા પરિવારો પાસેથી સાંભળ્યું છે જેમના પ્રિયજનો ઈરાનની અંદર અને મધ્ય પૂર્વમાં થઈ રહેલી હિંસા અને હુમલાઓથી પ્રભાવિત થયા છે.’’
દુબઈથી દિલ્હી આવેલા સુનિલ ગુપ્તાએ કહ્યું હતું કે “હું જ્યાં સુધી દિલ્હી પહોંચ્યો નહતો ત્યાં સુધી મને કોઈ રાહત નહોતી, ફ્લાઇટ દરમિયાન પણ નહીં. મેં પહેલાં ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો નથી.”
નોઈડાના રહેવાસી અને દુબઈમાં ફસાયેલા અરવિંદે કહ્યું હતું કે “લોકો થોડા દિવસો માટે ત્યાં ફરવા ગયા હતા અને હવે મૂળ ફ્લાઇટ રદ કરાતા તેમને વધારાના દિવસો રોકાવાની ફરજ પડી હતી. મેં વ્યક્તિગત રીતે આકાશમાં વિસ્ફોટ થતા, મિસાઇલોને અટકાવતા જોઇ હતી જે જોવાથી ભય પેદા થાય છે.”















