સ્વતંત્રતા
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ (ANI Photo)

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હોવાનો આક્ષેપ કરતાં અમેરિકાના યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયન ફ્રીડમ (USCIRF)ના રીપોર્ટને ભારત સરકારે ફગાવ્યો હતો. સરકારે તેને પક્ષપાતપૂર્ણ અને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધો હતો.

આ કમિશને તેના વાર્ષિક રીપોર્ટમાં ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનો માટે જવાબદાર ગણાતા વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધો મૂકવાની ભલામણ કરાઈ હતી. તેમાં ભારતની જાસૂસી સંસ્થા દેશની રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) જેવી સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરાયો હતો. કમિશને સૂચન કર્યું છે કે તેમની સંપત્તિ ફ્રીઝ કરવી અથવા તેમને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

રિપોર્ટ જણાવાયું હતું કે ભારતને ચોક્કસ ચિંતાના દેશ તરીકે જાહેર કરવો જોઇએ. કારણ કે દેશમાં ધાર્મિક સ્વતંત્રતાના વ્યવસ્થિત, સતત અને ગંભીર ઉલ્લંઘનો થઈ રહ્યા છે અને તેમને સહન કરવામાં આવી રહ્યા છે.”

આ રિપોર્ટ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ રીપોર્ટ સંપૂર્ણપણે પક્ષપાતી, પ્રેરિત અને ભારતની છબી ખરડવાના પ્રયાસ છે. આ કમિશન છેલ્લા ઘણા વર્ષોથી ઇતિહાસ અને વાસ્તવિક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે.

USCIRF વાસ્તવિક તથ્યોને બદલે શંકાસ્પદ સ્ત્રોતો અને પૂર્વાગ્રહયુક્ત એજન્ડાને આધારે કામ કરે છે. ભારતની આલોચના કરવાને બદલે કમિશને અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલા અને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ વધતી જતી અસહિષ્ણુતા જેવી ગંભીર બાબતો પર ધ્યાન આપવું જોઈએ.