પાકિસ્તાની
પાકિસ્તાનની ક્રિકેટર અબરાર અહેમદ (Photo by Ishara S. KODIKARA / AFP via Getty Images)

ઈંગ્લેન્ડની ‘ધી હન્ડ્રેડ’ ક્રિકેટ લીગમાં સનરાઈઝર્સ લીડ્સની ટીમના માલિકોએ ગયા સપ્તાહે હરાજીમાં ખેલાડીઓની ખરીદીમાં પાકિસ્તાની સ્પિનર અબરાર એહમદને મોટી રકમમાં ખરીદ્યાના પગલે ભારતમાં ભારે વિવાદ ચગ્યો છે.

વિવાદનું મૂળ એ હકિકતમાં છે કે, ભારતીય ક્રિકેટ લીગ આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓની પસંદગી અને રમાડવા ઉપર પ્રતિબંધ છે. એ ઉપરાંત, બાંગલાદેશના ઘટનાક્રમ પછી બાંગલાદેશની ખેલાડીની પણ બાદબાકી કરાયાના પગલે એ તો આંતરરાષ્ટ્રીય વિવાદ બની ગયો હતો. એ ઉપરાંત, ભારતીયો ઈંગ્લેન્ડ સાથે સાઉથ આફ્રિકા અને અમેરિકાની ક્રિકેટ લીગમાં પણ ટીમના માલિકો છે પણ લગભગ બધાએ કોઈ પાકિસ્તાની ખેલાડીને નહીં ખરીદવાની સાવચેતી દાખવી છે.

સનરાઈઝર્સ લીડ્સની ટીમની માલિકી ભારતના તામિલનાડુ સ્થિત મીડિયા ગ્રુપ ‘સન’ની છે અને ગયા સપ્તાહે હરાજીમાં પાકિસ્તાની ખેલાડી અબરાર એહમદને 1.90 લાખ પાઉન્ડની જંગી રકમ આપી ખરીદાયો ત્યારે સન ગ્રુપના માલિક પરિવારની સભ્ય કાવ્યા મારન ત્યાં ઉપસ્થિત હતી, તેની હાજરીમાં આ ખેલાડી ખરીદાયો હતો.

આમ એક ભારતીય ફ્રેન્ચાઈઝ કોઈ પાકિસ્તાન ખેલાડી માટે આટલી જંગી રકમ ચૂકવે તે ભારતના ક્રિકેટ જગતના માંધાતાઓ તેમજ ચાહકોને પણ પસંદ પડ્યું નથી. પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદી હુમલાઓમાં સંડોવાયેલું છે અને ભારત – પાકિસ્તાન વચ્ચે તો અનેક વર્ષોથી દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો કપાઈ ગયા છે એવા સંજોગોમાં ભલે ઈંગ્લેન્ડની લીગમાં હોય, પણ ભારતીય માલિકો એક દુશ્મન દેશના ક્રિકેટરને લાભ કરાવે તે સામે ભારતમાં આક્રોશ જાગવો સ્વાભાવિક છે.

ભારતના સૌપ્રથમ લોકપ્રિય ક્રિકેટર અને અસ્સલ લિટલ માસ્ટર, આખા બોલા સુનિલ ગાવસ્કરે તો ક્યાં સુધી કહી દીધું હતું કે, પાકિસ્તાની ક્રિકેટરને ખરીદવો, તેને જંગી નાણા ચૂકવવા એ ભારતીય સૈનિકો અને નાગરિકોની હત્યામાં ફાળો આપવા સમાન છે.

આ વિવાદ એટલો તો ચગ્યો હતો કે સનરાઈઝર્સ લીડ્સનું સોશિયલ મીડિયા ઉપરનું એક્સનું એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરાયું હતું.